રેલવે એ દરેક ભારતીય સાથે જોડાયેલું અભિન્ન અંગ છે અને લાખો મુસાફરો રોજબરોજ રેલવે દ્વારા પોતાના ગંતવ્ય સ્થાને પહોંચે છે. તેમાં પણ છેલ્લા કેટલાક વર્ષોમાં વંદે ભારત અને તેજસ જેવી સુપરફાસ્ટ ટ્રેનો તેમજ બુલેટ ટ્રેન અને મેટ્રોએ તો સમગ્ર રેલવેની કાયાપલટ કરી નાંખી છે. ત્યારે આ વખતે રજૂ થનારા રેલવે બજેટ પર સૌ દેશવાસીઓની ખાસ નજર છે. રેલવેમાં મુસાફરી કરનારા દરેક લોકો માટે આ વખતનું બજેટ કંઇક ખાસ રહી શકે છે.
2023ના બજેટમાં સરકાર દ્વારા જે નવી ટ્રેનોની જાહેરાતની શક્યતા છે તેમાં 35 નવી હાઇડ્રોજન ટ્રેન અને લગભગ 500 નવી વંદે ભારત ટ્રેનનો સમાવેશ થાય છે. રેલવે આગામી 3 વર્ષમાં આ ટ્રેનો ચલાવવાની યોજના બનાવી રહી છે. ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન આ વર્ષના અંત સુધીમાં તૈયાર થઇ જવાની શક્યતા છે. આ સાથે લગભગ 4 હજાર નવા ડિઝાઇન કરેલા ઓટોમોબાઇલ કોચ અને લગભગ 58 હજાર વેગન પણ આગામી 3 વર્ષમાં શરૂ થવાની અપેક્ષા છે.
વર્ષ 2023-24ના બજેટમાં રેલવેને અંદાજે 1.9 લાખ કરોડ રૂપિયાની ફાળવણી થવાની શક્યતા છે. કેન્દ્ર સરકાર દ્વારા મુસાફર ભાડા તેમજ નૂરમાં વધારો કરવામાં આવે તેવી શક્યતા બહુ ઓછી છે. ભૂતકાળમાં રેલવેએ તેના રોલિંગ સ્ટોકના આધુનિકીકરણ, ટ્રેકના વીજળીકરણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આથી આગામી 3 વર્ષમાં આ વિભાગ માટે રેલવે લગભગ 2.7 લાખ કરોડ રૂપિયા ખર્ચી શકે છે. રોલિંગ સ્ટોક ઉપરાંત સરકાર 100 વિસ્ટાડોમ કોચ બનાવવાની અને પ્રીમિયર ટ્રેનોના 1 હજાર કોચના નવીનીકરણની પણ યોજના બનાવી રહી છે.
Published On - 10:11 am, Wed, 1 February 23