Rajkot : વડાપ્રધાન મોદી(PM Narendra Modi) 28 મેએ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ જસદણના (Jasdan) આટકોટમાં 40 કરોડના ખર્ચે બનેલી 200 બેડની હોસ્પિટલનું લોકાર્પણ કરશે. તેમના આગમનને લઈ આટકોટમાં(Atkot) તડામાર તૈયારીઓ ચાલી રહી છે. PM મોદીના સભા સ્થળ પર સ્ટેજ અને ખુરશીઓ ગોઠવવા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. સાથે જ પોલીસની ટીમોએ પણ સમગ્ર વિસ્તારમાં ચેકિંગ કર્યું છે. સુરક્ષામાં કોઈ ચૂક ન રહે તે માટે પોલીસ (Rajkot District Police) સઘન ચેકિંગ કરી રહી છે.સુરક્ષાના ભાગરૂપે તંત્રએ સમગ્ર વિસ્તારને નો-ફ્લાય ઝોન જાહેર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, પટેલ સમાજ દ્વારા સંચાલિત કે.ડી. પરવાડિયા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં(Multispeciality Hospital) રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર સહિતના જિલ્લાના ગરીબ દર્દીઓને નજીવા દરે સારવાર મળશે. અહીં જનરલ વોર્ડમાં રોજના 150ના ભાડામાં દર્દીને ત્રણ ટાઇમ પેટ ભરીને ભોજન પણ મળશે. હોસ્પિટલમાં OPD, સુપર સ્પેશિયાલિટી, રેડિયોલોજી, ICCU, ઓપરેશન થિયેટર, પેથોલોજી, ડાયાલિસિસ, એન્ડોસ્કોપી, ફિઝિયોથેરપી, NICU, PICU, કેથલેબ સહિતના આધુનિક વિભાગો કાર્યરત થશે. મા-અમૃતમ અને આયુષ્યમાન કાર્ડધારકોને વિનામૂલ્યે સારવાર આપવામાં આવશે.