
ગાંધીનગરમાં વધતા ટાઈફોઈડના કેસને લઈ રાજકારણ ગરમાયું છે. ગાંધીનગરમાં ટાઈફોડના કેસમાં ચીંતાજનક વધારો જોવા મળતા મનપાની ચીંતા વધી છે, અસરગ્રસ્ત વિસ્તારમાં 20 કેસ નોંધાયા છે, તેમાથી એક બાળકીનું મૃત્યુ થયુ છે. ત્યારે ગાંધીનગરમાં મનપા કચેરી ખાતે શહેર કોંગ્રેસે ઉગ્ર દેખાવો કરી વિરોધ નોંધાયો છે.
મળતી માહિતી મુજબ કમિશનર ઓફિસમાં દૂષિત પાણીનું માટલું ફોડીને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. શહેર કોંગ્રેસ સમિતિએ કમિશનરને આવેદન આપ્યું છે. શુદ્ધ પીવાનું પાણી અને ઝડપી ગટરનું સમારકામ કરવાની માગ કરી છે. આ સાથે જવાબદાર એજન્સી સામે પગલા લેવાની પણ કરી માગ કરી છે.
શહેર કોંગ્રેસના જણાવ્યા મુજબ હાલ ગાંધીનગર મનપા ખાતે કોઈ સત્તાધીશો હાજર નથી રહી રહ્યા ત્યારે નાગરિકો રોગચાળાને કારણે હેરાન-પરેશાન થઈ ચૂક્યા છે. મનપાના અધિકારીઓ પર ઓરોપ છે કે અધિકારીઓ-પદાધિકારીઓ ભાવનગરમાં ક્રિકેટ મેચ રમવામાં વ્યસ્ત છે.
ગાંધીનગરના અસરગ્રસ્ત વિસ્તારમાંથી વધુ 20 કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. તેવામાં શહેર કોંગ્રેસ મેદાને ઉતરી છે અને મનપા કચેરીએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. તાત્કાલિક ધોરણે દૂષિત પાણીની સમસ્યાનું નિરાકરણ લાવે અને લોકોને શુદ્ધ પીવાનું પાણી પૂર પાડવામાં આવે તેવી માગ કરાઈ રહી છે.
જણાવી દઈએ તો 133 દર્દીઓને ટાઈફોઈડ થયો હોવાની માહિતી સામે આવી હતી જેમાંથી 45 દર્દીઓ સાજા થઈ ગયા છે અને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે.
Published On - 1:24 pm, Tue, 6 January 26