વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આજે જસદણ તાલુકાના આટકોટમાં 40 કરોડના ખર્ચે બનેલી 200 બેડની હોસ્પિટલનું (Hospital) લોકાર્પણ કરશે.જો કે, રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે, આ માત્ર એક હોસ્પિટલના લોકાર્પણનો જ કાર્યક્રમ નથી. પરંતુ ગુજરાતમાં પાટીદારોને સાથે રાખીને ભાજપનું શક્તિપ્રદર્શન પણ છે. કારણ કે એક તરફ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલની(Naresh Patel) કોંગ્રસમાં જોડાવાની ચર્ચા છે. તેવામાં સૌરાષ્ટ્રના મોટાભાગના પાટીદાર આગેવાનોને એક છત નીચે લાવી નરેશ પટેલ જૂથની અસર ઓછી કરવા પ્રયાસ કરશે. કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના(Saurashtra) સાત જિલ્લામાંથી પાટીદાર સમાજના નેતાઓ અને આગેવાનો સહિત 3 લાખ લોકો હાજર રહેવાના છે.
મહત્વનું છે કે, થોડા સમયથી હાર્દિક પટેલ(Hardik Patel) ભાજપના નેતાઓ સાથે વધુ જોવા મળ્યા છે. કોંગ્રેસ છોડ્યા બાદ પણ તે ભાજપ અને સરકારની કામગીરીના વખાણ કરી ચુક્યા છે.આમ, છેલ્લા કેટલાક સમયથી હાર્દિક ભાજપની વિચારધારા સાથે વધુ જોડાતા જોવા મળ્યા છે. બીજી તરફ નરેશ પટેલ કોંગ્રેસના મોટા નેતાઓ સાથે બેઠક યોજી ચુક્યા છે. જો કે, તેમણે હજુ સુધી પત્તા ખોલ્યા નથી. પરંતુ નરેશ પટેલનો કોંગ્રેસ તરફનો ઝુકાવ જોતા ગુજરાતમાં ભાજપ પાણી પહેલાં પાળ બાંધવાની તૈયારી કરી રહી હોય તેવું લાગી રહ્યું છે.