વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભવ્ય આવકાર આપવા નવસારીમાં તડામાર તૈયારીઓ હાથ ધરાઈ, સી આર પાટીલ સહિત અગ્રણીઓએ સભાસ્થળની મુલાકાત લીધી
ખુડવેલમાં વડાપ્રધાનના કાર્યક્રમને લઈને તંત્ર દ્વારા મુખ્ય સ્થળ ઉપરાંત હેલિપેડ, પાર્કિંગ વિગેરે માટે યુધ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. વડાપ્રધાનના આગમનને લઈને ભાજપા કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) 22 દિવસના ગાળામાં ઓછામાં ઓછા ત્રણ વખત તેમના ગુજરાતની મુલાકાત લે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે . વડાપ્રધાન હોસ્પિટલો સહિત વિવિધ પ્રોજેક્ટ્સ સમર્પિત કરશે. ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ સ્તરીય સૂત્રોએ જણાવ્યું હતું કે PM 28 મેના રોજ રાજકોટના એક ગામમાં પટેલ સમુદાયના સંમેલનને સંબોધિત કરે તેવી શક્યતા છે. આ ઉપરાંત ટૂંકા સમયગાળા દરમ્યાન ખુડવેલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમની સંભાવનાઓ પગલે તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. PM ટેક્સટાઇલ પાર્ક સહિતની મહત્વના પ્રોજેક્ટોની જાહેરાત કરી શકે છે. જોકે હજુ સુધી તારીખ અને સમયની સત્તાવાર રીતે જાહેર થઇ નથી પરંતુ વડા પ્રધાનના આગમનની શક્યતાઓને લઈ નેતાઓ અને અધિકારીઓની દોડધામ દેખાઈ રહી છે.
ખુડવેલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈ સરકારી અધિકારીઓના આટાફેરા વધી ગયા છે. ચીખલી તાલુકાના ખુડવેલ ગામે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ સ્થળની પસંદગી કરાઈ રહી છે. સ્થળ અને વ્યવસ્થાઓની માહિતી મેળવવા સાંસદ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, કેબિનેટ મંત્રી નરેશ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ, મહામંત્રી ડો.અશ્વિનભાઈ પટેલ, પ્રદેશ કારોબારી સભ્ય ડો.અમીતાબેન પટેલ અને જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ સહિતનાઓને સંભવિત સભાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું.
ખુડવેલમાં વડાપ્રધાનના કાર્યક્રમને લઈને તંત્ર દ્વારા મુખ્ય સ્થળ ઉપરાંત હેલિપેડ, પાર્કિંગ વિગેરે માટે યુધ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. વડાપ્રધાનના આગમનને લઈને ભાજપા કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે તારીખ અને સમય હજુ સત્તાવાર રીતે જાહેર થયો નથી. ભાજપ પ્રભાવશાળી સમુદાયનું સમર્થન મેળવવા માટે વિશાળ જનમેદની એકઠી કરવાનું લક્ષ્ય ધરાવે છે.
સૂત્રોએ જણાવ્યું કે પીએમની બીજી મુલાકાત જૂન મહિનામાં થવાની સંભાવના છે. બીજેપીના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા અનુસાર આગામી મહિને વડાપ્રધાનના હસ્તે બેથી ત્રણ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવશે. “પ્રધાનમંત્રી 10 જૂને દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યતા છે અને શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું ઉદ્ઘાટન કરશે.
વડાપ્રધાનની ત્રીજી ચૂંટણી ગુજરાતની મુલાકાત વડોદરામાં યોજાય તેવી શક્યતા છે. સૂત્રોએ જણાવ્યું કે વડા પ્રધાનની મુલાકાત 18 જૂને થવાની શક્યતા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આ અઠવાડિયે વર્ષના અંતમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સન્માનજનક જીત સુનિશ્ચિત કરવા અમદાવાદમાં ચિંતન શિબિર નું આયોજન કર્યું હતું. પાર્ટીએ ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે જેમાં 182 બેઠકો જીતવાની છે. ભાજપ ગુજરાતમાં 27 વર્ષથી સત્તા પર છે.