ગુજરાતના સાંસદો સાથેની પીએમ મોદીની બેઠક પૂર્ણ થઇ છે. પીએમ મોદીના દિલ્હી ખાતેના નિવાસ સ્થાને યોજાયેલી આ બેઠકમાં સાંસદો સાથે મિશન -2024 માટેની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં દરેક સાંસદના પોતાના લોકસભા વિસ્તારના પરિણામો અંગે જાણકારી મેળવી હતી. તેમજ નબળા બુથ પર પરિણામો સુધારવા ભાર મૂકવામાં આવ્યો હતો. જેમાં 156 બેઠકો જીત્યા બાદ જે નબળા બુથ છે તે સુધારવા સૂચના આપવામાં આવી છે. દરેક સાંસદને પોતાના વિસ્તારમાં જન સંપર્ક વધારવાની સૂચના આપવામાં આવી છે.
આપને જણાવી દઈએ કે, ગત લોકસભા ચૂંટણીમાં ભાજપે તમામ 26 બેઠક પર જીત મેળવી હતી. ત્યારે આગામી ચૂંટણીમાં પણ આવી જ ઐતિહાસિક જીત મળે તેને લઈને રણનીતિ બનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 156 બેઠક પર ભાજપ જીત્યું હતુ. તેથી લોકસભામાં પણ આ પ્રકારની જીત મળે તે માટે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સંગઠન મહામંત્રી રત્નાકર, ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સહિત તમામ સાંસદો બેઠકમાં હાજર હતા. આ બેઠકમાં લોકસભાની આગામી રણનિતી નક્કી કરવામાં આવી હતી.
Published On - 10:35 pm, Tue, 21 March 23