વિશ્વભરમાં કોરોનાની સ્થિતિને જોતા રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી છે. આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી. જેમાં કોરોના પર ભાર મુકાયો. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કોરોના ગાઇડલાઈનમાં કોઈ ચૂક ન રહે તે માટે સુચના આપી. હવે વિદેશી પ્રવાસીઓનું ફરી એરપોર્ટ પર ટેસ્ટિંગ થશે. આજ સાંજ સુધીમાં સરકાર મહત્વની જાહેરાત કરી શકે છે. તો જાહેર કાર્યક્રમોમાં સોશિયલ ડિસ્ટન્સ સહિત ગાઈડલાઈનનું પાલન પણ ફરજીયાત બની શકે છે.
હાલ દુનિયાભરમાં ફરી એક વાર કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે રાજ્ય સરકાર પણ એક્શનમાં જોવા મળી રહી છે.અમદાવાદની તમામ હોસ્પિટલોમાં દવા સહિતની જરૂરી સ્ટોક રાખવા સૂચના આપવામાં આવી છે. કોરોના વોર્ડના અને 1200 બેડ બિલ્ડિંગમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તો સાથે જ હોસ્પિટલોમાં સ્ટાફ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે.
કોરોનાના નવા વેરિયન્ટને લઇને સુરત મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ પણ એક્શનમાં આવ્યો છે. મનપાના રાંદેર ઝોનમાં આરોગ્ય વિભાગના ડેપ્યુટી કમિશનર આશિષ નાયકની અધ્યક્ષતામાં તબીબોની મહત્વની બેઠક મળી. બેઠકમાં આગામી દિવસોમાં ટેસ્ટિંગ સહિત નવા વેરિયન્ટને પહોંચી વળવા તાકીદ કરવામાં આવી. સુરત મનપાએ સંભવિત કેસો અને દર્દીને દાખલ કરવાની સ્થિતિને ધ્યાને રાખીને 50-50 બેડની 4 હોસ્પિટલ શરૂ કરી છે. શહેરના અડાજણ, પાલ, વેસુ અને પાંડેસરા એમ ચાર વિસ્તારોમાં ચાર હોસ્પિટલ શરૂ થઇ છે.
Published On - 1:48 pm, Thu, 22 December 22