આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલે નવસારી આવ્યા હતા. આ દરમિયાન આઠવલેએ આમ આદમી પાર્ટી (AAP) પર મફતની રાજનીતિ મુદ્દે પ્રહાર કર્યા હતા. આઠવલેએ કહ્યુ કે “અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ની મફતની રાજનીતિનો જાદુ ગુજરાતમાં નહીં ચાલે. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જ જાદુ ચાલશે.” તેમણે કહ્યુ કે દરેક વખતે મફતની રાજનીતિ નથી ચાલતી.
આઠવલેએ કહ્યુ કે દરેક વખતે મફતનુ આપવાથી સરકાર નથી ચાલતી, આથી મને લાગે છે કે દિલ્હીમાં ભલે એમનો જાદુ ચાલ્યો હોય પરંતુ અહીં ગુજરાતમાં તેમનો જાદુ ચાલવો ઘણો મુશ્કેલ છે. અહીં નરેન્દ્ર મોદી બહુ મોટા જાદુગર છે. ઘણા એક્ટિવ છે, તમામ જાતિ-ધર્મોને સાથે લઈને ચાલે છે, સબકા સાથ સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસની તેમની ભૂમિકા છે. આથી વડાપ્રધાન મોદી સામે કેજરીવાલનો કોઈ જાદુ ચાલશે નહીં તેવુ આઠવલેએ જણાવ્યુ હતુ.
આ સાથે તેમણે કહ્યુ કે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 2/3 બહુમતી મળશે. તો સાથોસાથ તેમણે કહ્યુ કે અમારી બહુજન પાર્ટી ઓફ ઈન્ડયા પણ ભાજપ સાથે મજબુતીથી ઉભી છે આથી અનુસૂચિત જાતિની વોટબેંક છે એ પણ ભાજપને મળશે. તેમણે કહ્યુ અહીં કોઈપણ પાર્ટી આવે પછી તે કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય કે અન્ય કોઈ પાર્ટી હોય અહીં તેમનો કંઈ આવશે નહીં. અહીં મજબુતી સાથે ભાજપ જ સરકાર બનાવશે.