આણંદના પેટલાદ તાલુકાના મિની પેરીસ તરીકે ઓળખાતા ધર્મજ ગામમાં ગ્રામ પંચાયતના કડક નિયમો અને આદર્શ સુવિધાના કારણે રસ્તા કે ગલીઓમાં ક્યારેય રખડતા ઢોરનો ત્રાસ જોવા મળતો નથી. 8 હજારની વસ્તી ધરાવતા આ ગામમાં ઘણા લોકો પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે.
તેઓ ક્યારેય પોતાના પશુઓને છૂટા નથી મૂકતા કે પછી કોઈના ખેતરમાં પણ ચરાવવા નથી મૂકતા અને જો કોઈ પશુઓને ખુલ્લા મૂકે તો ઢોર નિયંત્રણ માટે બનાવાયેલી રખા કમિટીના સભ્યો તેની પાસેથી દંડ વસૂલે છે.
ધર્મજ ગામની વિશેષતા એ છે કે અહીં ઘાસચારા માટે પશુઓ અને તેમના માલિકોને ક્યાંય વલખાં નથી મારવા પડતા. ગામના વડવાઓ એવી વ્યવસ્થા ઉભી કરીને ગયા છે કે પશુમાલિકોને કોઈ જ મુશ્કેલી નથી પડતી. ગામના આગેવાનના જણાવ્યા અનુસાર ગ્રામ પંચાયત હસ્તકની ગૌચરની કુલ 142.19 એકર જમીન આવેલી છે.
આ પણ વાંચો ‘આણંદનું ગૌરવ’ નાયબ મામલતદાર ચૈતન્ય સંઘાણીનું મુખ્યમંત્રી દ્વારા કરાયું સન્માન
આ જમીનમાંથી 110 એકરમાં વર્ષોથી ઘાસચારો ઉગાડવામાં આવે છે અને આ ઘાસચારો ગામના પશુપાલકોને 20 કિલો પુળાના 20 રૂપિયા લેખે ઘરે જ વિતરણ કરવામાં આવે છે. દરરોજ અંદાજે 1500થી વધારે પુળા ગ્રામ પંચાયત દ્વારા પશુપાલકોને ઘરે બેઠા જ મળી રહે છે.