શહેરોમાં વધી રહેલો ઘન કચરો દિવસે દિવસે પર્યાવરણમાં પહેલેથી જ પ્રદુષણ વધારી રહ્યો છે. ત્યારે નવસારીના બિલીમોરામાં આવેલી અંબિકા નદીમાં પ્રદૂષણને પગલે પરિસ્થિતિ વધારે વિકટ બની છે. અહીં નગરપાલિકા પાસે ઘણા સમયથી કચરાના નિકાલ માટે કોઈ યોગ્ય જગ્યા જ નથી. જેને કારણે નદીના કિનારે ખુલ્લામાં કચરો ઠલવાઈ રહ્યો છે અને એમાં છાશવારે આગ પણ લાગતી રહે છે. લોકો આ સ્થિતિથી કંટાળ્યા છે.
બિલીમોરાની અંબિકા નદીના કિનારે કચરો ખુલ્લી જગ્યામાં ઠલવાઈ રહ્યો છે આટલું ઓછું હોય તેમ અહીં વારંવાર આગ લાગવાના બનાવો પણ સામે આવી રહ્યા છે. અત્યાર સુધી ડમ્પિંગ સાઈટ ઉપર 8 વાર આગ લાગવાના બનાવો બની ચુક્યા છે પણ આ આગ કોના દ્વારા લગાડવામાં આવે છે? એ હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. જેના કારણે એક તો હવા પ્રદૂષિત થાય છે. સાથે જ આસપાસ રહેતા લોકો પણ આ આગ લાગવાના બનાવોથી હવે પરેશાન થઈ ગયા છે. હવે આ મામલો વિપક્ષે ઉઠાવી પાલિકાની કામગીરી સામે સવાલો કર્યા છે
અંબિકા નદી કિનારે જ્યાં કચરો ઠલવાય છે, ત્યાં અનેકવાર આગ લાગવાના બનાવો સામે આવતાં હવે નગરપાલિકા દ્વારા એક વોચમેન મૂકવામાં આવ્યો છે. તેમ છતાં પણ આગ લાગવાની ઘટના તો બંધ થતી જ નથી. ત્યારે હવે નગરપાલિકાએ આ મામલાને લઈને તપાસનો દોર શરૂ કર્યો છે.
પાલિકાનું કહેવું છે કે આગ લગાવનાર વ્યક્તિ સામે કાયદાકીય પગલાં ભરવાની પણ શરૂઆત કરવામાં આવશે. આટલી મુશ્કેલી છતાં પાલિકા દ્વારા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કે ઘન કચરા નિકાલ માટે કોઈ નક્કર કામગીરી કરવામાં નથી આવી. ત્યારે વિપક્ષ સહિત લોકો આ અંગે પાલિકા કોઈ ઝડપી ઉકેલ લાવે તેવી માગ કરી રહ્યા છે.
Published On - 7:59 am, Fri, 27 January 23