ગુજરાતમાં (Gujarat) ચોમાસાનો (Monsoon 2022) સારો એવો વરસાદ વરસ્યો છે. ગુજરાત આસપાસના રાજ્યોમાં પણ વરસાદી (Rain) માહોલ છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની (Sardar Sarovar Narmada Dam) જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતના જીવાદોરી સમાન નર્મદા ડેમમાં સતત પાણીની આવક થઇ રહી છે. ઉપરવાસમાંથી સતત ડેમમાં પાણીની આવક થઇ રહી છે. હાલ નર્મદા ડેમમાં 1 લાખ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. સતત પાણીની આવકને કારણે ડેમની જળ સપાટી 134.82 મીટરે પહોંચી છે. ડેમનું રૂલ લેવલ મેન્ટેઇન કરવા માટે 10 દરવાજા ખોલી 30 હજાર ક્યુસેક છોડવામાં આવી રહ્યું છે..નર્મદા નદીમાં ડેમનું પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા નદી પણ બે કાંઠે વહી રહી છે.
વરસાદી માહોલ વચ્ચે નર્મદા જિલ્લામાં કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સાતપુડા અને વિંદ્યાચલની ગિરીકન્દ્રા વચ્ચે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હાલ આહલાદક દ્રશ્યો સર્જાયા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કુદરતી માહોલ વચ્ચે પ્રવાસીઓનો ધસારો પણ વધી રહ્યો છે. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો નયન રમ્ય નજારો માણવા લોકો દુર દુરથી આવી રહ્યા છે.
બીજી તરફ ઉકાઈ ડેમમાં પાણીની આવક ઘટી છે. જેના પગલે પાણીની જાવક પણ ઘટાડાઇ છે. હાલ ઉકાઈ ડેમમાંથી 1.28 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. જેના પગલે તાપીમાં પાણી છોડવાનું ઓછું કરાતા સુરત મનપાને મોટી રાહત મળી છે. કારણ કે ઉકાઇ ડેમમાં ગઈકાલ સુધી 1.84 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું હતું. તાપી નદીમાં પાણીની સ્તર વધતા આસપાસના નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યાં હતા. જો કે હવે ઉકાઈ ડેમની હાલની સપાટી 335.28 ફૂટ છે અને સુરતનો વિયર કમ કોઝવે 9.13 મીટરની સપાટીએ વહી રહ્યો છે.