રાજ્યમાં આ વર્ષે સારો એવો વરસાજ થતા સરદાર સરોવર ડેમમાં (Sardar Sarovar Dam) પાણીની સારો જથ્થો છે. નર્મદા (Narmada) જિલ્લામાં આવેલી સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમની જળસપાટી વધીને 137.17 મીટર થઈ છે. ડેમના જળસ્તરમાં 24 કલાકમાં 9 સેમીનો વધારો થયો છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલ ડેમમાં 66 હજાર 353 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. તો ડેમના 2 દરવાજા 0.35 સેમી ખોલીને પાણી છોડવામાં આવી રહ્યુ છે. સરદાર સરોવર ડેમમાં હાલ કુલ પાણી સંગ્રહ શકિતના 94.70 ટકા છે. જેને લઇને તંત્ર અને ખેડૂતોમાં (Farmers) ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
સિંચાઈ વિભાગના અધિકારીએ રાજ્યના જળાશયોની વિગતો આપતાં જણાવ્યું હતું કે સરદાર સરોવર જળાશયમાં 3,16,384 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ પાણી સંગ્રહ શકિતના 94.70 ટકા છે. રાજ્યનાં 206 જળાશયોમાં 4,53,594 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહ શકિતના 81.26 ટકા છે. હાલમાં રાજ્યમાં કુલ 102 જળાશય હાઇ એલર્ટ ૫ર, કુલ 23 જળાશય એલર્ટ ૫ર તેમજ 11 જળાશય વોર્નીગ ૫ર છે.
બીજી તરફ હવામાન વિભાગની આગાહી અનુસાર લો પ્રેશર એરિયા બનશે તો વરસાદનું જોર વધશે. 9 અને 10 સપ્ટેમ્બરે વરસાદનું જોર વધવાની શક્યતા છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ અને તાપીમાં વધુ વરસાદ વરસવાની શક્યતા છે. બીજીતરફ સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. પશ્ચિમ બંગાળમાં લો પ્રેશર સિસ્ટમ બની રહી હોવાથી વરસાદનું જોર વધશે. જો રાજ્યમાં વરસાદી માહોલ સર્જાશે તો ડેમમાં પાણીનો જથ્થો 100 ટકા થવાની સંભાવના છે.