ગુજરાતમાં (Gujarat) આ વર્ષે સીઝનનો 100 ટકા કરતા વધુ વરસાદ (Rain) વરસી ચુક્યો છે. ઉપરવાસમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે. જેના પગલે નર્મદાના સરદાર સરોવર ડેમની (Sardar Sarovar Dam) જળ સપાટીમાં વધારો થયો છે. સિઝનમાં પ્રથમવાર સરદાર સરોવર ડેમની જળસપાટી 137.84 મીટરે પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ત્યારે હવે સરદાર સરોવરમાં જળસપાટી ડેમની મહત્તમ સપાટીની નજીક હોવાથી સમગ્ર તંત્રની નજર ડેમ પર છે.
સરદાર સરોવર ડેમની સપાટી હાલમાં 137.84 મીટરે પહોંચી છે. સરદાર સરોવર ડેમમાં હાલ પાણીની આવક 95,948 ક્યુસેક છે. નર્મદા ડેમના 2 દરવાજા મારફતે 5000 ક્યુસેક પાણીની જાવક થઇ રહી છે. તો રીવરબેડ પાવરહાઉસમાંથી 42,731 ક્યુસેક પાણીની જાવક થઇ રહી છે. તો હાલમાં ડેમમાં પાણીનો લાઈવ સ્ટોરેજ જથ્થો 5491.40 MCM છે. સરદાર સરોવર ડેમમાં પાણીનો સારો એવો જથ્થો એકત્ર થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. સાથે જ આગામી વર્ષે પાણીની સમસ્યા ઊભી થવાની શક્યતા ઓછી હોવાથી તંત્રએ પણ રાહત અનુભવી છે.
આ વર્ષે ગુજરાતમાં ચોમાસાનો સારો એવો વરસાદ વરસ્યો છે. ઉપરાંત ઉપરવાસમાં પણ સારા વરસાદના કારણે નર્મદા ડેમમાં પાણીની સારી એવી આવક રહે છે. ત્યારે આ વર્ષે પ્રથમવાર 5 સપ્ટેમ્બરના રોજ ડેમનું જળસ્તર 137 મીટરે પહોંચ્યું હતું. તે સમયે સરદાર સરોવર ડેમમા 1 લાખ 1 હજાર 566 ક્યુસેક પાણીની આવક નોંધાઇ હતી અને ડેમના 5 દરવાજા ખોલીને 10 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.
બીજી તરફ નર્મદાના સરદાર સરોવર ડેમ પાસે આવેલા (Narmada) સ્ટેચ્યૂ ઓફ યુનિટીના (Statue Of Unity) કારણે પ્રવાસીઓનું મન પસંદ સ્થળ બની ગયુ છે. અગાઉ નર્મદામાં અમદાવાદથી ખૂબ ઓછા સમયમાં વધુથી વધુ સહેલાણીઓ કેવડિયા આવીને સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવાની તેમજ નર્મદા ડેમને જોવાની મજા માણી રહ્યા છે.