વન વિભાગ (Forest Department) દ્વારા જંગલની જમીન (Forest land) ખેડતા લોકોને રોકતા વન વિભાગની ટીમ પર પથ્થરમારો (Stone Pelting) કરવામાં આવ્યો છે. કેવડિયા રેન્જના RFO વિરેન્દ્રસિંહ ઘરિયા અને તેમની ટીમ પર હુમલો (Attack) થતા બે વન કર્મચારીઓ ઇજાગ્રસ્ત પણ થયા છે. આ વનવિભાગના બંને કર્મચારીઓને તાત્કાલિક ગરુડેશ્વર સામુહિક કેન્દ્રમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે.
નર્મદા જિલ્લામાં ગરુડેશ્વર તાલુકાના ભીલવસી બારફળિયામાં કેટલાક લોકો ગેરકાયદેસર રીતે જમીન ખેડતા હોવાની માહિતી કેવડિયા વન વિભાગને મળી હતી. જેને લઇને વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઇ હતી. કેવડિયા રેન્જના RFO વિરેન્દ્રસિંહ ઘરિયા અને તેમની ટીમે સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન કેટલાક લોકો જંગલની જમીન મંજુરી વિના ખેડી રહ્યા હોવાનું જોવા મળ્યુ હતુ. જેથી વન વિભાગે ગેરકાયદે જમીન ખેડતા લોકોને અટકાવ્યા હતા. જો કે વન વિભાગની ટીમે લોકોને અટકાવતા તેઓ રોષે ભરાયા હતા અને વન વિભાગની ટીમ પર જ હુમલો કરી દીધો હતો.
પથ્થરમારાની ઘટના બનતા મામલો બિચક્યો હતો. ટોળાએ કરેલા હુમલામાં બે વન વિભાગના કર્મચારીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયા હતા. આ વનવિભાગના બંને કર્મચારીઓને ગરુડેશ્વર સામુહિક કેન્દ્રમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસે સ્થળ પર પહોંચીને સ્થિતિ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો.