વોટ લેવા હાથ જોડતા નેતાઓ મુશ્કેલીના સમયે ક્યાં સંતાયા? લાખોના ખર્ચે બનેલી ડ્રેનેજ લાઇન થઈ ‘જામ’, પ્રજા નરક જેવી ગંદકીમાં જીવે છે
ભરૂચના અંકલેશ્વરમાં નગરપાલિકાની નબળી કામગીરીને કારણે સામાન્ય જનતા હેરાન-પરેશાન થઈ રહી છે. અહીંના વોર્ડ નંબર 2 માં ગટરના ગંદા પાણી મુખ્ય માર્ગો પર ફરી વળતા સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા છે.
ભરૂચના અંકલેશ્વરમાં નગરપાલિકાની કામગીરીને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વરના વોર્ડ નંબર 2 માં આવેલા ઉન્નતિનગરમાં મુખ્ય રોડ પર ગટરના પ્રદૂષિત પાણી ઉભરાવાના કારણે સ્થાનિકોની સ્થિતિ કફોડી બની ગઈ છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, માત્ર એક વર્ષ પહેલાં જ લાખો રૂપિયાના ખર્ચે નવી ડ્રેનેજ લાઇન નાખવામાં આવી હતી, જે અત્યારથી જ જામ થઈ જતાં ગટરનું ગંદુ અને દુર્ગંધ મારતું પાણી મુખ્ય માર્ગો પર ફરી વળ્યું છે.
આ ગંભીર સમસ્યા અંગે નગરપાલિકામાં વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. રોષે ભરાયેલા રહીશોએ સ્થાનિક નગરસેવકો સામે આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, ચૂંટણી વખતે મોટા-મોટા વાયદાઓ આપીને વોટ માગવા આવનારા નેતાઓ હવે મુશ્કેલીના સમયે ક્યાંય દેખાતા નથી.
બીજી તરફ, આ સમગ્ર વિવાદ અંગે વોર્ડના નગરસેવક વિનય વસાવાએ પોતાનો બચાવ કરતા દાવો કર્યો છે કે, વિસ્તારમાં હાલ ભૂગર્ભ ગટર લાઇનની કામગીરી ચાલુ હોવાના કારણે આ એક ‘ટેકનિકલ સમસ્યા’ સર્જાઈ હતી, જેનો હવે તાત્કાલિક નિકાલ કરી દેવામાં આવ્યો છે. આ સાથે જ તેમણે સ્થાનિકોના વિરોધને નકારતા ઉમેર્યું હતું કે, રહીશો તરફથી કોઈ વિરોધ નથી પરંતુ કેટલાક લોકો પોતાના અંગત સ્વાર્થ માટે આ સમગ્ર ઘટનાને ખોટો રાજકીય રંગ આપી રહ્યા છે.
