ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 : ભાજપને દક્ષિણ ગુજરાતની 35 બેઠકોમાં સ્થિતિ અલગ દેખાઈ રહી છે. 2017માં 35માંથી 25 સીટ મેળવી હતી પરંતુ અત્યારના સમીકરણ આમ આદમી પાર્ટીના આવ્યા બાદ બદલાયા છે. એજ કારણ છે કે ભાજપ દ્વારા તમામ સ્ટાર પ્રચારકોની ફોજ ઉતાર્યા બાદ હવે વડાપ્રધાન સુરતમાં મહેનત કરી રહ્યા છે. ચૂંટણી પહેલા પાટીદારોના ગઢમાં ડેમેજ કંટ્રોલ કરવા પ્રયાસ હાથ ધરાયો છે. જેના ભાગરૂપે પીએમ મોદી સુરતમાં ફરી પાટીદાર અગ્રણી અને હીરા ઉદ્યોગકારો સાથે બેઠક કરી.
મહત્વનું છે કે ગઇકાલે પણ પીએમ મોદીએ સુરતમાં સભા સ્થળે 40 ઉદ્યોગકારો સાથે 15 મિનીટ સુધી બેઠક કરી ચર્ચા કરી હતી. તો ગઇકાલે મોડી રાત્રે સી.આર.પાટીલ અને હર્ષ સંઘવીએ પણ પીએમ મોદી સાથે બેઠક કરી હતી.
તો બીજી તરફ PM મોદી પ્રવાસના બીજા દિવસે સૌરાષ્ટ્ર-કચ્છમાં જંગી પ્રચાર કરશે. પ્રથમ તબક્કાની ચૂંટણીની બેઠકો પર PM મોદીનો આ છેલ્લો પ્રચાર રહેશે. PM મોદી પાલીતાણામાં બપોરે 12.15 કલાકે જનસભા સંબોધશે, ત્યારબાદ બપોરે 2:45 એ અંજારમાં, 4:30 કલાકે જામનગરમાં અને સાંજે 6:30 કલાકે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં જંગી જાહેરસભામાં સંબોધશે. આ સભામાં PM મોદી મતદારોનો મત જીતવા પ્રયાસ કરશે.
Published On - 11:42 am, Mon, 28 November 22