શું તમે ક્યારેય પોલીસને પેરાગ્લાઈડિંગ કરતા જોયા છે ? કદાચ તમારો જવાબ ના હશે. પરંતુ અહીં તમે પોલીસના પેરાગ્લાઈડિંગ કરતા દૃશ્યો જોઈ શકો છો. જી હાં. આ વર્ષે લીલી પરિક્રમાના રૂટ પર પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમા પેરાશુટથી પોલીસ દ્વારા પરિક્રમા રૂટનું પેરા મોનિટરીંગ કરાઈ રહ્યુ છે. આ વર્ષે ગિરનારની લીલી પરિક્રમામા ઈમરજન્સી સમયે પેરાશુટથી મદદ પહોંચશે. લીલી પરિક્રમાના ઈતિહાસમાં પ્રથમવાર પોલીસ તંત્ર દ્વારા પરિક્રમાના મોનિટરીંગ માટે પેરાશુટનો નવતર પ્રયોગ કરાયો છે.
જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ પેરાગ્લાઈડિંગ દ્વારા રૂટ ચેક કર્યો હતો. આપને જણાવી દઈએ કે આ વર્ષે ગિરનારની પરિક્રમા દરમિયાન 15 લાખથી વધુ ભાવિકો ઉમટી આવી રહ્યા છે ત્યારે ગિરનાર પરિક્રમા દરમિયાન શ્રદ્ધાળુઓની સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. પોલીસે પેરા મોનિટરીંગનો સફળ પ્રયોગ હાથ ધર્યો છે. જેના દ્વારા જંગલમાં ઈમરજન્સી સમયે મદદ પહોંચી શકશે. ઈમરજન્સી સમયે શ્રદ્ધાળુઓને મેડિકલ હેલ્પ માટે ઉપયોગ કરાશે.
Input Credit- Vijaysinh Parmar- Junagadh