જૂનાગઢના (Junagadh) મેંદરડામાં આઝાદી કા અમૃત મહોત્સવને લઈને મધુવંતી ડેમને (Madhuvanti Dam) તિરંગા તથા રોશનીથી શણગારવામાં આવ્યો હતો. જ્યાં એક સાથે 5 સિંહ ડેમ પર આટાંફેરા કરતા સીસીટીવીમાં જોવા મળ્યા હતા. આ ફૂટેજ જોઈને લાગતું હતું કે આઝાદીના અમૃત મહોત્સવના અવસરે ગિરનારના ડાલામથ્થા સાવજ પણ જોડાયા હતા. આઝાદીપર્વના ઉપક્રમે મધુવંતી ડેમને તિરંગા તથા રોશનીથી સુશોભિત કરવામાં આવ્યો હતો. ત્યારે રાત્રિના સમયે સીસીટીવી (CCTV) કેમેરામાં સિંહ ફરતા જોવા મળ્યા હતા. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
નોંધનીય છે કે ધારી , અમરેલી, ગીર જંગલ વિસ્તાર અને જૂનાગઢ ભવનાથ તળેટીના શહેરી વિસ્તારમાં પણ સિંહ હવે આંટાફેરા કરી લેતા હોય છે. ગીર સોમનાથના વેરાવળમાં સિંહોના આટાફેરા વધી ગયા છે. દેવલપુર ગીર વિસ્તારમાં મોડી રાત્રે સિંહણ એક મકાનની છત પર ચડી ગઈ હતી. સિંહણ મકાનના છત પર આરામ ફરમાવતી હોય તેવો વીડિયો વાયરલ થયો છે. સિંહણ છત પર ચડીને ત્રાડ મારે છે. તો સામે મોરલાઓ પણ તેને જવાબ આપતા હોય તેમ ટહુકા મારી રહ્યા છે. ઘટનાને પગલે ઘરની અંદર રહેલા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
Published On - 8:51 pm, Mon, 15 August 22