સાગર પરિક્રમા યાત્રાના બીજા તબક્કા દરમિયાન કેન્દ્રીય ફિશરીઝ મંત્રાલયના મંત્રી રૂપાલા (Parshottam Rupala) જૂનાગઢ (Junagadh) જિલ્લાના માંગરોળ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ફિશરીઝ(Fishries)ના પ્રશ્નોને લઈને ચાલતી સમસ્યા અંગે વિગતવાર ચર્ચા કરી હતી અને તેમણે મોટુ નિવેદન આપ્યુ હતુ કે ફિશરીઝના ડીઝલને લગતા પ્રશ્નનો ઉકેલ લવાશે. ફિશરીઝમાં ડીઝલનો ભાવ ઘટાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રૂપાલાએ કહ્યુ કે આંતરરાષ્ટ્રીય ભાવમાં ફેરફાર થતા ડીઝલનો ભાવ ફિશરીઝમાં વધ્યો હતો.
આ દરમિયાન પરશોત્મ રૂપાલાએ જણાવ્યુ કે સાગર પરિક્રમા યાત્રાનો પ્રથમ ફેઝ કચ્છના માંડવીમાં શ્યામજી કૃષ્ણવર્માની તપસ્થલીને વંદના કરીને શરૂ કરવામાં આવ્યો હતો. આ યાત્રા દરમિયાન માંડવીથી ઓખા થઈ પોરબંદરમાં એ સાગર પરિક્રમા યાત્રાના પ્રથમ ફેઝનુ સમાપન કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ હવામાનને કારણે યાત્રામાં રૂકાવટો આવી હતી. તેના બીજા ફેઝનો માંગરોળથી પ્રારંભ કરવામાં આવ્યો છે. 25 સપ્ટેમ્બર સુધી તે ચાલશે. જેમા દમણ સહિતના વિસ્તારોને આવરી લેવામાં આવશે. રૂપાલાએ જણાવ્યુ કે આ સાગર પરિક્રમા યાત્રાનો મુખ્ય આશય સમુદ્ર કિનારે, કાંઠા વિસ્તારમાં વસતા લોકોને, માછીમારોને રૂબરૂ મળી તેમની સાથે તેમની સમસ્યાઓ, વાતો જાણવાનો છે. તેમણે વધુમાં જણાવ્યુ કે આપણી સમુદ્રીય સૃષ્ટિને જાણવા અને સમજવાનો પ્રયાસ કરવાનો છે. સાગરખેડૂને લગતી આપણી પોલિસી કેવી હોવી જોઈએ તેને માટેના ઈનપુટ્સ લેવા માટેનો પણ આ સાગર પરિક્રમા યાત્રા દ્વારા પ્રયાસ કરાતો હોવાનું રૂપાલાએ જણાવ્યુ હતુ.
ભારતના મત્સ્યપાલનના મંત્રી તરીકે સમુદ્ર કિનારાને સંપૂર્ણપણે જાણવા અને સમજવા માટેનો પ્રયાસ આ યાત્રાના માધ્યમથી કરવામાં આવ્યો છે. જેનાથી લોકોને પણ મળવાનો મોકો મળે અને કિનારાઓને પણ જોઈ શકાય.
Published On - 11:23 pm, Thu, 22 September 22