અમદાવાદમાં રથયાત્રા પહેલા આજે જગન્નાથ ભગવાનની જળયાત્રા નિકળી. જળયાત્રા પુરી કરી મંદિરે પરત ફર્યા બાદ ભગવાનનો જળાભિષેક કરાયો હતો. પવિત્ર જળથી વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન જગન્નાથજીની જળાભિષેકની વિધિ કરવામાં આવી હતી. જ્યેષ્ઠા નક્ષત્રમાં પ્રભુનો જળાભિષેક કરાતો હોવાથી આ વિધિને જ્યેષ્ઠાભિષેક પણ કહેવામાં આવે છે.
રથયાત્રાને લઈને અમદાવાદમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે તે પહેલા રથયાત્રાનો પહેલો પડાવ એટલે કે જળયાત્રા આજે યોજાઈ હતી. પરંપરા મુજબ જળયાત્રા સાબરમતીના નદીના કિનારે પહોંચી હતી. જેમાં ભગવાનના જળાભિષેક માટે સાબરમતીથી જળ લાવવામાં આવ્યું હતુ, ત્યા આરતી પણ કરવામાં આવી હતી. બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા-અર્ચના કરવામાં આવી, જે બાદમાં સંતો, મહંતો અને આગેવાનોએ આરતી ઉતારી હતી. આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના લોકોએ જળ કળશોની આરતી ઉતારી હતી.
જળયાત્રા પુરી કરી મંદિરે પરત ફર્યા બાદ ભગવાન જગન્નાથ પર ભક્તો દ્વારા જળ અભિષેક કરવામાં આવી રહ્યો છે. અહીં 108 જળ કળશોથી પ્રભુને સ્નાન કરાવવામાં આવી રહ્યું છે. અલગ અલગ કમિટિના લોકો દ્વારા જગન્નાથને જળાભિષેક કરાઈ રહ્યો છે.
પરંપરા મુજબ આ જળાભિષેક બાદ જગન્નાથના ગજવેશ રુપે દર્શન થતા હોય છે. ત્યારે રથયાત્રા પહેલા યોજાતી આ જળયાત્રાને મીની રથયાત્રા પણ કહેવામાં આવે છે.અમદાવાદના જગદીશ મંદિરની પ્રથા થોડી અલગ છે. આ મંદિરમાં પ્રભુના મહાભિષેક પૂર્વે ભવ્ય જળયાત્રાનું આયોજન થાય છે.
મોટાભાગના મંદિરોમાં સ્નાન યાત્રાના આગળના દિવસે જ તીર્થસ્થાનોથી જળ મંદિરમાં લાવી દેવાય છે. પરંતુ, જગદીશ મંદિરમાં પ્રભુનો નિત્ય કર્મ પૂર્ણ થયા બાદ જ જળયાત્રાનો પ્રારંભ થાય છે. 108 કળશ, ગજરાજ અને ભજન મંડળીઓ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળે છે. તે સાબરમતીના કાંઠે સોમનાથ ભૂદરના આરે પહોંચે છે.