Ahmedabad : અમદાવાદમાં કચરામાં પણ કૌભાંડ થયુ હોવાનું સામે આવ્યુ છે. અમદાવાદ કોર્પોરેશનમાં દીવા તળે અંધારા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. જે કંપનીને બ્લેકલિસ્ટ કરવાની ભલામણ થઈ હોય એ કંપનીને બ્લેકલિસ્ટ કરવાને બદલે ફરી કોર્પોરેશનને કોન્ટ્રાક્ટ આપ્યો છે. હાર્દિલ એજન્સીને 2025 સુધી કોન્ટ્રાક્ટ અપાયો છે.
આ પણ વાંચો : Ahmedabad: ફોનમાં બેંકિગ અને ફાઇનાન્સ એપ્લીકેશનથી નાણાં ટ્રાન્સફર કરી 20 લાખની છેતરપિંડી, પોલીસે આરોપીને ઝડપી પાડ્યો
સોલીડ વેસ્ટ વિભાગના પૂર્વ કર્મચારી અશ્વિન રાવલનો આક્ષેપ છે કે વર્ષ 2019માં કમિશનરે કચરાના નિકાલની કામગીરી કરતી હાર્દિલ લેબર કો.ઓપરેટીવ ગ્રૂપને બ્લેકલિસ્ટ કરવા આદેશ કર્યો હતો પણ કોર્પોરેશનના અધિકારીએ કંપનીને બ્લેકલિસ્ટ તો ના જ કરી અને 30 કરોડથી વધુનું કામ આપ્યું અને હવે 2025 સુધી વધુ 3 વર્ષ માટે કોન્ટ્રાક્ટ રિન્યૂ કરી આપ્યો છે.
આક્ષેપ એવો પણ છે કે પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મેયર સાથે ઘરોબો ધરાવતી આ એજન્સી વિરૂદ્ધ કોઈ પણ ફરિયાદને ગંભીરતાથી લેવાતી નથી. અશ્વિન રાવલે કરેલી RTIમાં નારણપુરાની હાર્દિલ લેબર કો.ઓપરેટીવ ગ્રૂપ પાસે પશ્વિમ ઝોનમાં ઘન કચરાના નિકાલ માટેનો કોન્ટ્રાક્ટ હતો પણ કામગીરીમાં વારંવાર બેદરકારીને લઇ કમિશનરે 14 વખત એજન્સીને 11.75 લાખની અલગ-અલગ પેનલ્ટી ભરવા નોટિસ પાઠવી હતી.
પરંતુ જે હજુ સુધી ભરી નથી. ચર્ચા એવી પણ છે કે કમિશનરે બ્લેકલિસ્ટનો ઓર્ડર કરી દીધો હતો પણ સંબંધિત વિભાગના અધિકારીઓએ ફાઈલ દબાવી રાખી અને નવા કમિશનરને ગેરમાર્ગે દોરી હાર્દિલ એજન્સીને કામ આપવાનું ચાલુ રાખ્યું છે. તો બીજી તરફ મેયરે અશ્વિન રાવલના આક્ષેપને ફગાવ્યાં અને દોષનો ટોપલો કમિશનર પર ઢોળ્યો.. મેયરનું કહેવું છે કે નોટિસ સહિતની કામગીરી વહીવટી તંત્ર અને કમિશનર કરતા હોય છે.