પાછોતરા વરસાદે સૌરાષ્ટ્રના ખેડૂતોને કર્યા પાયમાલ, તૈયાર પાક પર પાણી ફરી વળતા આભ ફાટ્યા જેવી સ્થિતિ- Video

|

Oct 22, 2024 | 6:52 PM

રાજ્યમાં છેલ્લા 15 દિવસમાં પડેલા પાછોતરા વરસાદે ભારે વિનાશ વેર્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ખેતરમાં તૈયાર પાક લણણી માટે તૈયાર હતો પરંતુ તેના પર વરસાદી પાણી ફરી વળતા ખેડૂતો માટે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે.

પાછોતરા વરસાદે ખેતરોમાં વિનાશ વેર્યો છે. દિવાળીનો તહેવાર માથે છે. ખેડૂતોનો પાક લણલી માટે તૈયાર હતો પરંતુ કુદરતના મારે ખેડૂતોના મુખમાં આવેલો કોળિયો છીનવી લીધો છે. અહી વીડિયોમાં આપેલા આ દ્રશ્યો ખેડૂતોને થયેલા નુક્સાનની સાક્ષી પુરે છે. મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકમાં વ્યાપક નુક્સાન થયું છે.

જુનાગઢ પંથકમાં મગફળીના ખેતરના આ દ્રશ્યો ખેડૂતોની કફોડી હાલતનો ચિતાર વ્યક્ત કરે છે. કટાણે વરસાદ પડવાથી ખેતરમાં તૈયાર થયેલા મગફળીનો પાક પલળી ગયો છે. ખેડૂતો માટે આફ ફાટ્યા જેવી સ્થિતિ છે અને એવી જ હાલત રાજકોટ પંથકની છે કે જ્યાં મગફળી અને કપાસનો પાક નષ્ટ થયો છે.

અમરેલી જિલ્લામાં પણ ખેડૂતોની કમાણી પર વરસાદી ગ્રહણ લાગ્યું છે. દક્ષિણ ગુજરાતમાં પણ ખેડૂતોના એ જ હાલ છે. બારડોલીમાં ડાંગરનો પાક આડો પડી ગયો છે. તો બીજી તરફ હવે ખેડૂતોના મુદ્દે રાજનીતિ પણ તેજ થઈ છે. 68 તાલુકામાં લીલો દુષ્કાળ જાહેર કરવાની માગણી સાથે કોંગ્રેસે સરકાર સામે મોરચો માંડ્યો છે. રાજ્ય સરકાર મદદ જાહેર નહીં કરે તો કોંગ્રેસ આંદોલન કરશે.

Next Video