જો તમે પણ ઘરમાં શ્વાન પાળ્યું હોય તો હવે તેનું ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે. શહેરને હડકવામુક્ત કરવા અમદાવાદ મહાનગરપાલિકા એક યોજના અમલમાં મુકવા જઈ રહી છે. આ અંતર્ગત તમારે શ્વાન પાળવું હોય તો રૂ.500થી 1 હજાર ભરીને લાઈસન્સ લેવું પડશે, ગાયની જેમ રઝળતાં શ્વાનને પણ RFID ચિપ લગાવાશે. એટલું જ નહીં પાલતુ શ્વાનના માલિકે કૂતરાને રાખવાની જગ્યા, રસીનું સર્ટિ મ્યુનિ. પોર્ટલ પર મૂકવું પડશે.
2019માં રસ્તે રઝળતાં શ્વાનની થયેલી ગણતરી મુજબ તેની વસતી અંદાજે 2.30 લાખ હતી. તાજેતરમાં રખડતાં શ્વાનને હડકવા વિરોધી રસી મુકાશે. પરંતુ એ રસીની અસર એક વર્ષ જ રહેશે. શહેરને હડકવામુક્ત બનાવવું હોય તો દર વર્ષે રસી આપવી પડે. હડકવામુક્ત શહેરમાં રખડતા શ્વાનને રઝળતી ગાયોની જેમ આરએફઆઈડી ચિપ લગાડાશે.
આ માટે મ્યુનિ. 1.80 કરોડ ખર્ચે કરશે. ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યા છે. અધિકારીએ જણાવ્યું કે, પાલતુ શ્વાન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવા માટેનો હાલ વિચાર ચાલી રહ્યો છે. તેમાં શ્વાનના માલિકે રસીકરણનું સર્ટિફિકેટ, શ્વાનને રાખવાની જગ્યાના ફોટા પાડી અપલોડ કરવાનો રહેશે. તેના પછી મ્યુનિ.ની સીએનસીડી વિભાગની ટીમ સ્થળ તપાસ કરશે.