વલસાડમાં વાવાઝોડાના ખતરાના પગલે તંત્ર સજ્જ થઈ ગયું છે. ભારે વરસાદ અને પવનને લઇને ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. અધિકારીઓ અને કર્મચારીઓ 24 કલાક કન્ટ્રોલ રૂમ પર હાજર રહેશે. દરેક ગતિવિધિ પર કંટ્રોલ રૂમથી નજર રાખવામાં આવશે. ડિઝાસ્ટર, મામલતદાર સહિતના અધિકારીઓ હાજર રહેશે. દરેક તાલુકાના મામલતદારો અને તલાટીઓને હેટકવાર્ટર ન છોડવાની સૂચના આપી દીધી છે.
બિપરજોય વાવાઝોડાની અસર હેઠળ વલસાડ અને આસપાસના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. તીથલના દરિયાકાંઠે ઉંચા મોજા ઉછળવા લાગ્યા. જો કે વહીવટી તંત્ર કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા સાબદું છે. NDRFની એક ટુકડી રાહત અને બચાવકાર્ય માટે વલસાડ પહોંચી ગઈ છે. NDRF જવાનો દરિયાકાંઠાથી નજીકના ગામમાં જઈને લોકોને વાવાઝોડાની બચવાની સમજ આપશે. આ સાથે જરૂર જણાય તો અસરગ્રસ્ત લોકોને બચાવીને સલામત સ્થળે ખસેડવાની પણ તૈયારી કરશે.
Published On - 8:09 pm, Sat, 10 June 23