અંબાજી મંદિર પ્રસાદ વિવાદ વકર્યો છે, ત્યારે આ મુદ્દે ઋષિકેશ પટેલે મોટું નિવેદન આપ્યું હતું કે મોહનથાળનો પ્રસાદ માત્ર 7 કે 8 દિવસ સુધી ખાવાલાયક રહે છે અને મોહનથાળ એ માત્ર મીઠાઈ નથી, પરંતુ આસ્થાનો વિષય છે. તેમજ તેમણે જણાવ્યું હતું કે ચીકી 3 મહિના સુધી બગડતી નથી.
જોકે અંબાજીમાં મોહનથાળ પ્રસાદ મુદ્દે સરકારના નિવેદન પર VHPની પ્રતિક્રિયા આવી હતી. VHPના નેતા અશોક રાવલે ઋષિકેશ પટેલના નિવેદનને વખોડ્યું હતું. તેમણે કહ્યું હતું કે હાલની સરકાર નરેન્દ્ર મોદીની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી રહી છે. VHPના નેતા અશોક રાવલે આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે સરકારને 156 બેઠક મળ્યા બાદ આ લોકોને કોઈની પડી નથી. જેના મતથી સરકાર ચૂંટાઈ છે તેમની લાગણી સાથે છેડછાડ યોગ્ય નથી.
ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે કોરોના મહામારી દરમિયાન સૌ પ્રથમવાર ઓનલાઈન દર્શનની સુવિધા શરૂ કરવામાં આવી હતી. જેનો લાભ વિશ્વના 27 જેટલા દેશોના 1.21 કરોડ શ્રદ્ધાળુઓએ લીધો હતો. વિશ્વભરમાંથી શ્રદ્ધાળુઓ અંબાજી ખાતે ‘માં અંબા’ના દર્શનાર્થે આવતા હોય છે જેઓ પોતાના વતનમાં ‘માં અંબા’નો પ્રસાદ લઈ જવા ઈચ્છતા હોય છે. આ પ્રસાદ સુકો અને વધુ સમય સુધી રહે તેવી લાગણી શ્રઘ્ધાળુઓ દ્વારા કરવામાં આવતી હોય છે.
વર્ષમાં ચાર પ્રકારની નવરાત્રી, દર મહિનાની પૂર્ણિમા, આઠમ તેમજ વિવિધ વ્રતના દિવસે ફરાળી પ્રસાદ હોવો જોઈએ તેવી રજૂઆતો પણ દર્શનાર્થીઓ દ્વારા કરવામાં આવતી હતી. આવી અનેક લાગણીઓને ધ્યાને રાખીને અંબાજી ખાતે પ્રસાદમાં પૌષ્ટિક ચિક્કીના પ્રસાદનું વિતરણ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રસાદની ચિક્કી ઉપવાસમાં પણ ખાઈ શકાય તેવી છે તો VHPના અશોક રાવલે જણાવ્યું હતું કે અનેક લોકોએ મોહનથાળના પ્રસાદ મુદ્દે અમારા ધરણાને સમર્થન આપ્યું છે અને અમારી લડાઈ સમગ્ર હિન્દુ સમાજ માટે છે.