નવસારી શહેર અને જિલ્લામાં CNG પંપ સંચાલકો એક દિવસની પ્રતિક હડતાળ પર ઉતર્યા હતા, જોકે સાંજ પડતા આ પ્રતિક હડતાળ પૂર્ણ કરવામાં આવી હતી. આ હડતાળમાં નવસારી શહેર અને જિલ્લાના તમામ CNG પંપ સંચાલકો જોડાયા હતા. જેથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. કેટલાક રીક્ષા ચાલકો પણ CNG ન મળતા અટવાઈ ગયા હતા તેમજ સ્કૂલવર્ધી વાનના ચાલકોને પણ પરેશાની વેઠવાનો વારો આવ્યો હતો.
નવસારીના સીએનજી પંપ સંચાલકોએ જણાવ્યું હતું કે અમારી માંગણીઓ ઘણા લાંબા સમયથી પડતર છે વારંવાર રજૂઆતો કરવા છતાં અમારી માંગણીઓ પૂર્ણ થઈ નથી. માટે સીએનજી પંપ સંચાલકોએ એક દિવસની હડતાળ ઉપર ઉતરવાનો નિર્ણય કર્યો હતો.
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કુલ 250 જેટલા સીએનજી પંપ ધારકોએ ગેસ સ્ટેશન બંધ રાખ્યા હતા. કમિશન મુદ્દે સરકાર સામે વિરોધ વ્યક્ત કરવા CNG પંપ માલિકોએ હડતાળનું હથિયાર ઉગામ્યું હતું અને ગુજરાત ગેસના 250 જેટલા CNG પંપ સંચાલકોએ 24 કલાક માટે બંધ પાળ્યો હતો.સરકારને વારંવાર રજૂઆત છતાં કમિશન ન વધારતા હવે બંધ પાળીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કે આ હડતાળને લઈને CNG વાહનધારકોને દિવસ દરમિયાન ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
છેલ્લા દોઢ વર્ષથી સીએનજી પંપ ધારકોનું કમિશન રૂ 1.25થી વધારવાની માગ યથાવત રાખવામાં આવી હતી. પરંતુ ગેસ કંપની દ્વારા તેમની માગ નહીં સંતોષતા ફરી વાર આવતીકાલે CNG પંપ બંધ રાખશે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ ગુજરાત ગેસ કંપની લિમીટેડની ફ્રેન્ચાઈઝી ધરાવતા પંપ ધારકોની મીટિંગ મળી હતી, જેમાં કંપની દ્વારા પંપ ધારકોની કરાતી સતત અવગણનાના મુદ્દે ચર્ચા થઈ હતી. જો કે આ બેઠક પડી ભાંગી હતી, પડતર માગણીના ઉકેલ લાવવામાં કરવામાં આવતા વિલંબ સામે પંપ ધારકોમાં ભારે અસંતોષ ફેલાયો છે.