કચ્છમાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. નખત્રાણા અને લખપત તાલુકાના ગામોમાં વરસાદ વરસ્યો છે. નેત્રા, માતાના મઢ, રવાપર, ઉખેડા સહિતના ગામમાં કમોસમી વરસાદથી જગતનો તાત પરેશાન જોવા મળી રહ્યો છે.
કચ્છમાં પાક નુકસાની માટે સરવેની કામગીરી હાથ ધરાઈ છે. કમોસમી વરસાદથી થયેલી પાક નુકસાની માટે ટીમ બનાવાઈ છે. આ ટીમ કચ્છના જુદા જુદા તાલુકામાં સર્વેની કામગીરી હાથ ધરશે.ખેતીવાડી વિભાગની ટીમ દ્વારા સર્વે કરાશે.જેમાં 33 ટકાથી વધુ નુકસાનીનો રિપોર્ટ તૈયાર કરાશે.
ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી બદલાયેલા વાતાવરણના પગલે કચ્છમાં સતત ચોથા દિવસે વરસાદ થતા ખેતીને ભારે નુકસાન થઇ રહ્યું છે. ગાંધીધામમાં કરા સાથે વરસાદ વરસ્યો છે.તો ભચાઉ તાલુકાના ગામડાઓમાં પણ વરસાદથી ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યા છે.કમોસમી વરસાદથી ખેતરમાં ઉભા પાકને ભારે નુકસાન પહોંચી રહ્યું છે.
આ ઉપરાંત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં થયેલા કમોસમી વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા જિલ્લા કલેક્ટરો સાથે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ યોજીને કરી હતી. ખાસ કરીને અમરેલી, જુનાગઢ તેમ જ સૌરાષ્ટ્ર–કચ્છ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં થયેલા આ કમોસમી વરસાદથી રવિપાકોની ગુણવત્તાના નુકસાન સહિતના અન્ય નુકસાન તેમજ ઉનાળુ પાકો અને ફળાઉ પાકોના નુકસાનની પ્રાથમિક વિગતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેળવી હતી.
તેમણે સંબંધિત જિલ્લા કલેક્ટરોને તેમના જિલ્લાઓમાં થયેલા ખેતીવાડી નુકસાનનો પ્રાથમિક સરવે કરાવી લેવા પણ દિશાનિર્દેશો આપ્યા હતા. આ સંદર્ભમાં જિલ્લા કલેક્ટરોએ પોતાના જિલ્લામાં પાક નુકસાન સહિતના નુકસાનીના સર્વે માટે ટીમ્સ કાર્યરત કરી દેવામાં આવી છે. તેની વિસ્તૃત વિગતો આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેક્ટરોને માર્ગદર્શન આ૫તા કહ્યું કે, આ સર્વેમાં કોઈને અન્યાય ન થાય તે રીતે સર્વે કરીને નિયમાનુસારની ચુકવણી માટે યોગ્ય કાર્યવાહી થાય તે આવશ્યક છે.