અમદાવાદમાં હાટકેશ્વર અને મુમતપુરા બ્રિજના નિર્માણનો વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરના 100 કરોડના અન્ય 4 અંડરપાસના કામ પણ ટેન્ડર વગર આપવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. જે 4 અંડરપાસના ટેન્ડર સામે સવાલો ઉઠ્યા છે તેમાં અદાણી શાંતિગ્રામ, છારોડી, વૈષ્ણોદેવી અને તારાપુર અંડરપાસનો સમાવેશ થાય છે.
આ ચારેય અંડરપાસ ટેન્ડર વગર જ બારોબાર જે-તે કોન્ટ્રાક્ટરને આપી દેવાયા હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ સરખેજ-ગાંધીનગર હાઈવે પર 750 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા ફલાયઓવર પૈકી ખોડિયાર જંકશન, ગોતાથી થલતેજ જંકશન અને ઉજાલા જંકશન ખાતે ઈપીસી ટેન્ડરમાં નક્કી કરેલી ડિઝાઈનમાં બારોબાર ફેરફાર કરી કૌભાંડ કરાયું હોવાની આશંકા છે.
ડિઝાઈનમાં બારોબાર ફેરફાર અને ટેન્ડર વિના બારોબાર સોંપાયેલી કામગીરી અંગે જો તપાસ થાય તો મોટા પાયે ગેરરીતિ બહાર આવી શકે છે. માર્ગ અને મકાન વિભાગે એસ.જી. હાઈવેના ચાર ઈપીસી પેકેજનો ડીપીઆર, જીઈઓ ડિઝાઈન 2018માં તૈયાર કરી હતી. આ ડીપીઆર માર્ગ અને મકાન વિભાગના ડિઝાઈન વર્તુળ અને આ જ વિભાગના અધિકારીઓ દ્વારા મંજૂર કર્યા બાદ ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. ટેન્ડર બહાર પાડયાના દોઢ જ વર્ષમાં એટલે કે વર્ષ 2020માં ટેન્ડર મુજબના ચારેય પેકેજમાં ફેરફારો કરી દેવામાં આવ્યા હતા.
પરંતુ સવાલ એ છે કે જીઈઓ ડિઝાઈનનો ડીપીઆર શું ખામીવાળો હતો ? અને જો ડીપીઆર ખામીવાળો હતો તો પછી તેને મંજૂર કેમ કરવામાં આવ્યો હતો ?