Gujarati Video: છોટાઉદેપુરના ગોઝારીયા શિક્ષણ સંકુલના રસોડામાં ગંદકીના ઢેર, વિદ્યાર્થીઓને હલકી ગુણવત્તાનું અપાય છે ભોજન

|

Feb 10, 2023 | 10:47 PM

Chhota Udepur: કવાંટ તાલુકામાં આવેલ ગોજારીયા શિક્ષણ સંકુલની પાવીજેતપુરના ધારાસભ્ય જયંતિ રાઠવાએ આકસ્મિક મુલાકાત લીધી તો ચોંકાવનારા દૃશ્યો જોવા મળ્યા. અહીં રસોડામાં ગંદકીના ઢેર જોવા મળ્યા, વિદ્યાર્થીઓને હલકી ગુણવત્તાનું બિનઆરોગ્યપ્રદ ભોજન આપવામાં આવી રહ્યુ છે.

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આવેલું ગોઝારીયા શિક્ષણ સંકુલ હાલ વિવાદોમાં આવ્યું છે. આ સંકુલમાં મોડેલ સ્કૂલ નિવાસી શાળા સહિત 6 શાળાઓના 2300થી વધુ આદિવાસીઓ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિ રાઠવાએ આ શાળા સંકુલની આકસ્મિક મુલાકાત લીધી તો ચોંકાવનારી હકીકતો સામે આવી હતી.શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સરકાર તરફથી રહેવા અને જમવા પાછળ મોટો ખર્ચ કરવામાં આવે છે છતાં વિદ્યાર્થીઓને હલકી ગુણવત્તાનું ભોજન મળી રહ્યું હોવાનું સામે આવ્યું છે. ધારાસભ્ય જયંતિ રાઠવાની મુલાકાતમાં વિદ્યાર્થીઓને જાડી અને સૂકી રોટલી સાથે કાચું શાક આપવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.

રસોડા સામે જ ખાળકૂવો ઉભરાતો હોવાથી દુર્ગંધનું સામ્રાજ્ય

આટલું જ નહીં પણ રસોડામાં પણ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું. બાળકોને આપવામાં આવતા  બિનઆરોગ્યપ્રદ ભોજનને કારણે તેમના આરોગ્ય પર ખતરો તોળાઈ રહ્યો છે. રસોડાની પાછળ જ એઠવાડ નાખવામાં આવે છે, અહીં જ ખાળકુવો પણ ઉભરાઈ રહ્યો છે, જેને કારણે દુર્ગંધનું સામ્રાજ્ય ઉભું થયું છે.

ખુદ ભાજપના આદિવાસી ધારાસભ્ય જયંતિ રાઠવાએ વિરોધ દર્શાવવા કેમ્પસમાં ધરણા પર બેસી ગયા હતા. ધારાસભ્યએ અધિકારીઓ, શાળા સંચાલકો અને ઈજારદારો સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા છે.

વિદ્યાર્થિનીઓ જણાવે છે કે ભોજનાલયમાં લાઈટ પંખા નથી અને જમતી વખતે એટલુ અંધારૂ હોય છે કે ખબર પણ નથી પડતી કે શું ખાઈએ છીએ. ક્યારેક જમવામાં ઈયળ જેવી જીવાત પણ આવી જાય છે. તો ક્યારેક પીવાનુ પાણી પણ મળતુ  નથી.

આ પણ વાંચો:  Gujarati Video : છોટાઉદેપુરના કુકરદા ગામની ઘટના, 108 હોસ્પિટલ પહોંચે તે પહેલા જ એમ્બ્યુલન્સમાં મહિલાએ આપ્યો બાળકને જન્મ

ધારાસભ્ય જયંતિ રાઠવાએ સીધો આરોપ લગાવ્યો છે કે અધિકારીઓએ દેખરેખ ન રાખવાને કારણે એજન્સીઓ બેફામ રીતે વર્તી રહી છે, તેના કારણે આ પ્રકારની અવ્યવસ્થા સર્જાઈ છે. જયંતિ કવાડિયાએ એજન્સીઓને રદ્દ કરવા માટે પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે. તેમની માગ છે કે જ્યાં સુધી બેદરકારી દાખવતી એજન્સીને રદ નહીં કરાય ત્યા સુધી તેઓ પ્રતિક ઉપવાસ શરૂ રાખશે.

Next Video