Ahmedabad: ચોમાસું બેસે તે પહેલા જ અમદાવાદ ભૂવાવાદ બની ગયું છે. થોડા દિવસ પહેલા પડેલા ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં ભૂવા પડવાની ઘટના સામે આવી છે. તેમાં વિરાટનગરના ગરીબનગર ચાર રસ્તા પર પણ ભૂવો પડ્યો હતો. AMCએ આ ભૂવાના સમારકામની શરૂઆત તો કરી દીધી છે. પરંતુ સ્થાનિકોનો આક્ષેપ છે કે, કોર્પોરેશન ગોકળગાયની ગતિએ કામગીરી કરી રહ્યુ છે. જેના કારણે ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
આ પણ વાંચો : Ahmedabad : મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રિમોન્સૂનના દાવા પોકળ, શહેરમાં 4 સ્થળોએ ભુવા પડ્યા હોવાની ઘટના, જુઓ Video
સ્થાનિકોનું માનીએ તો, ઘણી રજૂઆત બાદ કોર્પોરેશને એક સપ્તાહ પહેલા સમારકામની શરૂઆત કરી હતી. જો કે, હજુ પણ તે કામગીરી પૂર્ણ થઇ નથી. જેના કારણે રસ્તો હાલ વન-વે કરવામાં આવ્યો છે. લોકોને ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, દિવસમાં માત્ર ત્રણથી ચાર કલાક જ સમારકામની કામગીરી ચાલે છે.
જેથી આસપાસના દૂકાનદારોનો ધંધો ઠપ્પ થઇ ગયો છે. પાર્કિંગની સમસ્યા પણ ઉભી થઇ છે. એટલું જ નહિં ભૂવાની આસપાસની જમીન પણ ખસતી હોવાનો સ્થાનિકોમાં ભય છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, ઝડપી કામગીરી કરવા તેમણે કોર્પોરેશનને રજૂઆત કરી તો કોર્પોરેશને જવાબ આપ્યો કે, હજુ કામગીરી પૂર્ણ કરવામાં એક મહિનાથી વધુનો સમય લાગી શકે છે.
Input Credit- Darshal Raval- Ahmedabad
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો