અમદાવાદમાં છેલ્લા કેટલાય સમયથી હવાનું પ્રદૂષણ એક ગંભીર મુદ્દો બની રહ્યો છે. જેમાં ખાસ કરીને ધૂળના સૂક્ષ્મ રજકણ હવામાં ભળવાથી હવા વધુ પ્રદૂષિત થાય છે. ત્યારે હવાનું પ્રદૂષણ અટકાવવા તંત્ર એકશન મોડ પર આવી ગયું છે. આ હવાના પ્રદૂષણમાં કન્સ્ટ્રક્શન સાઈટનો મોટો હિસ્સો હોવાથી તંત્રએ પર્યાવરણને સુરક્ષિત રાખવા એક પરિપત્ર બહાર પાડયો છે.
અમદાવાદમાં ચાલતી તમામ કન્સ્ટ્રક્શન સાઈટ પર કપડાનો મોટો પડદો લગાવી તેમ જ સાઈટમાંથી સૂક્ષ્મ રજકણો હવામાં ન ભળે તેની તકેદારી રાખવા આદેશ આપ્યો છે. આ સૂચનાનું પાલન નહીં કરનારી બાંધકામ સાઈટને રજાચિઠ્ઠી સ્થગિત કરવાની ચેતવણી આપી છે. તંત્રએ પરિપત્ર બહાર પાડી તમામ બાંધકામ સાઈટને રોડ માટીથી ખરાબ ન થાય તે માટે યોગ્ય પગલા લેવા સૂચના આપી છે. બિલ્ડીંગ તોડતી વખતે હવાનું પ્રદૂષણ રોકવા પણ આદેશ કરાયો છે.
વર્લ્ડ બેંકના રિપોર્ટ મુજબ અમદાવાદ શહેરની પ્રત્યેક ઘનમીટર હવામાં 20 માઈક્રોગ્રામ ધૂળના રજકણ છે. જેથી બાંધકામ સાઈટોએ હવેથી કડક પગલા લેવા પડશે. બાંધકામ સ્થળે પતરાની વાડ ઉભી કરવાની અને પૂરતી ઉંચાઈના પડદા અને વિનશિલ્ડ લગાવવાના રહેશે. સાઈટોને લૂઝ મટીરિયલ કપડાંથી ઢાંકવાનું અને પાણીનો છંટકાવ કરવો પડશે. બાંધકામ સાઈટ પર પેવિંગ કરેલું હોવું જોઈએ. ખોદકામ ચાલુ હોય ત્યાં કીચડ ન ફેલાય તેનું ધ્યાન રાખવું પડશે. કન્સ્ટ્રક્શનના કાટમાળનો નિયત સેન્ટરમાં નિકાલ કરવો પડશે. માટીનો મહદઅંશે ઉપયોગ કરવાની અને કાટમાળ અને બિલ્ડીંગનો મટીરિયલ્સ જાહેર રસ્તા પર નહીં મુકવા પણ સૂચના આપી છે.