લુણાવાડામાં ટાઉન હોલના નામે ‘ભ્રષ્ટાચારનો ખાડો’ આજે પણ નગરજનો માટે આફત, 46 લાખ વસૂલવામાં તંત્ર લાચાર

| Edited By: | Updated on: May 11, 2026 | 6:13 PM

વર્ષ 2019માં માત્ર ખાડો ખોદવા પાછળ 46 લાખ વેડફી નાખનાર લુણાવાડા નગરપાલિકા ફરી ચર્ચામાં છે. નવી જગ્યાએ ટાઉન હોલ બનાવવાની હિલચાલ વચ્ચે જૂના ભ્રષ્ટાચારના નાણાં વસૂલવા કે જોખમી ખાડો પૂરવા મુદ્દે તંત્ર પાસે કોઈ સ્પષ્ટ જવાબ નથી.

મહીસાગરના લુણાવાડામાં ટાઉન હોલ બનાવવાની જાહેરાત તો થઈ છે, પરંતુ ભૂતકાળનો ‘ભ્રષ્ટાચારનો ખાડો’ આજે પણ તંત્રની પોલ ખોલી રહ્યો છે. વર્ષ 2019માં ટાઉન હોલના નિર્માણ માટે માત્ર ખાડો ખોદવા પાછળ જ જનતાની પરસેવાની કમાણીના 46 લાખ રૂપિયા પાણીમાં હોમી દેવાયા હતા. આ મામલે તપાસ થતા કોર્ટે જવાબદારી તો નક્કી કરી દીધી, પરંતુ હજુ સુધી એક પણ રૂપિયાની વસૂલાત થઈ નથી. હવે સ્થિતિ એવી છે કે આ 46 લાખનો ખાડો પૂરવા માટે નગરપાલિકાએ નવો ખર્ચ કરવો પડશે.

દુર્ઘટનાને ખુલ્લું નિમંત્રણ

જે જગ્યાએ આ વિશાળ ખાડો આવેલો છે, તેની આસપાસ શાળાઓ અને રમતગમતનું મેદાન છે. અહીં મેળાઓ પણ ભરાય છે, જેના કારણે આ ખુલ્લો ખાડો ગમે ત્યારે મોટી જાનહાનિ નોતરી શકે છે. સ્થાનિક કોર્પોરેટર આ ભ્રષ્ટાચારને કોંગ્રેસના શાસનનું પાપ ગણાવી રહ્યા છે અને હાઈકોર્ટ દ્વારા નાણાં વસૂલવાની વાત કરી રહ્યા છે. બીજી તરફ, નગરજનો પૂછી રહ્યા છે કે શું નવા ટાઉન હોલના નામે ફરી ભૂતકાળનું પુનરાવર્તન તો નહીં થાય ને?

તંત્રનો ગોળ-ગોળ જવાબ

ચીફ ઓફિસરના જણાવ્યા અનુસાર, સરકાર તરફથી નવી મંજૂરી મળી ગઈ છે અને ટૂંક સમયમાં કામ શરૂ થશે. જૂના 46 લાખની વસૂલાત અને વિવાદિત ખાડાને પૂરવા અંગે તેમણે પ્રાદેશિક કમિશનરની કચેરીના આદેશ મુજબ કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. જોકે, સવાલ એ છે કે વર્ષો વીતી ગયા છતાં જનતાના નાણાં વેડફનાર સામે કડક પગલાં ક્યારે લેવાશે?

સોના કરતા પણ મોંઘી છે આ ચાની પત્તી ! 1 કિલોના ભાવમાં આવી જાય અનેક લક્ઝરી ગાડીઓ

Follow Us