Ahmedabad : સાબરમતી નદીના શુદ્ધિકરણ માટે કરોડો રૂપિયાનું આંધણ, છતા સ્થિતિ ‘જૈસૈ થે’

|

Jan 11, 2023 | 1:05 PM

રાજ્ય સરકાર, GPCB કે AMCના અધિકારીઓ વર્ષોથી કેમિકલ ઠાલવતા ઉદ્યોગગૃહો સામે કોઈ કડક કાર્યવાહી કરી શક્યા નથી. સાબરમતી નદીમાં વધતા પ્રદૂષણનું સ્તર એ અધિકારીઓની બેદરકારીનો સાક્ષાત પુરાવો છે.

અમદાવાદની સાબરમતી નદીના શુદ્ધિકરણ માટે તંત્રએ કરોડો રૂપિયાનું આંધણ કર્યું છે. આમ છતાં સાબરમતી નદીમાં પ્રદૂષણ સતત ચિંતાજનક હદે વધી રહ્યું છે. ઉદ્યોગોનું ઝેરી કેમિકલયુક્ત અને દુર્ગંધ મારતું પાણી બેફામપણે દિવસ-રાત ઠલવાય છે.  રાજ્ય સરકાર, GPCB કે AMCના અધિકારીઓ વર્ષોથી કેમિકલ ઠાલવતા ઉદ્યોગગૃહો સામે કોઈ કડક કાર્યવાહી કરી શક્યા નથી. સાબરમતી નદીમાં વધતા પ્રદૂષણનું સ્તર એ અધિકારીઓની બેદરકારીનો સાક્ષાત પુરાવો છે.

સાબરમતી નદીકાંઠાની આસપાસ રહેતા વિસ્તારના લોકો માટે અસહ્ય દુર્ગંધમાં જીવવું કપરૂ બન્યું છે.  તો બીજી તરફ સાબરમતી નદીના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ખેતરો અને કૂવાઓમાં પણ કેમિકલયુક્ત પાણી ભળી ગયા છે. ફીણવાળા અને દુર્ગંધમારતા પાણીના કારણે ગંભીર રોગચાળાનો ખતરો પણ છવાયો છે.

સાબરમતી નદીમાં પ્રદૂષણનું સ્તર ચિંતાજનક હદે વધ્યું

અમદાવાદમાં સાબરમતી નદીમાં ગંદુ પાણી ઠલવાતું અટકે તે માટે તંત્રએ કરોડો રૂપિયા ખર્ચીને વ્યવસ્થાઓ ગોઠવી છે. અમદાવાદમાં 14 સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને 7 કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત છે. આમ છતાં સાબરમતી નદીમાં ગટરનું ગંદુ પાણી અને કચરો પણ બિંદાસ ઠલવાતો રહે છે. રાજ્ય સરકાર અને AMC નદીઓના શુદ્ધીકરણના ભલે મોટા દાવા કરે,  પરંતુ વાસ્તવિક સ્થિતિ તદ્દન અલગ છે.

Published On - 11:17 am, Wed, 11 January 23

Next Video