ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 89 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયુ છે. બીજા તબક્કાનું મતદાન 5મી ડિસેમ્બરે થવાનું છે ત્યારે બીજા તબક્કાની 93 બેઠકો માટે પીએમ નરેન્દ્ર મોદીએ પ્રચારની કમાન તેમના હાથમાં લીધી છે. પીએમ મોદી આવતીકાલે 4 જંગી જનસભા સંબોધશે. જેમાં સૌપ્રથમ તેઓ ઉત્તર ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર કરશે. બનાસકાંઠાના કાંકરેજમાં સવારે 11 કલાકે પીએમ મોદી જંગી જનસભા સંબોધશે. ત્યારબાદ પીએમ મોદી પાટણ પહોંચશે અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ધુંઆધાર પ્રચાર કરશે. પાટણ બાદ પીએમ મોદી બપોરે 2.45 આણંદના સોજીત્રામાં જનસભા સંબોધશે. ત્યારબાદ સાંજે 6 વાગ્યે પીએમ મોદી અમદાવાદમાં જાહેરસભાને સંબોધન કરશે.
બીજા તબક્કાના મતદાન માટે હવે ભાજપના દિગ્ગજો પ્રચારમાં તાકાત લગાવી રહ્યા છે. પીએમ મોદીએ અમદાવાદ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં દમદાર પ્રચાર કર્યો. પીએમ મોદીએ અમદાવાદમાં ભવ્ય રોડ શો થકી ધુંઆધાર પ્રચાર કર્યો. એ પહેલા પીએમ મોદીએ સાબરકાંઠા, છોટાઉદેપુર અને પંચમહાલમાં પણ સભા ગજવી.અમદાવાદમાં વડાપ્રધાન મોદીનો ઐતિહાસિક અને અભૂતપૂર્વ વન મેન-શો યોજાયો. ગુજરાતની ચૂંટણીના ઈતિહાસનો અત્યાર સુધીનો ભવ્યાતિ ભવ્ય પ્રચાર મોદીએ કર્યો. મોદીએ મેરેથોન રોડ-શો થકી અમદાવાદની તમામ બેઠકો અંકે કરવાનો છેલ્લી ઘડીનો માસ્ટર સ્ટ્રોક માર્યો. નરોડાથી ચાંદખેડા સુધી 32 કિમીના જંગી રોડ-શોમાં જનનેતાને પ્રચંડ જનસમર્થન મળ્યું.
પંચમહાલના કાલોલમાં ચૂંટણી સભા દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા અને કહ્યું કે- કોંગ્રેસમાં તો મોદીને કોણ વધારે મોટી અને તીખી ગાળો બોલે એની સ્પર્ધા ચાલે છે તો બોડેલીમાં કહ્યું કે કોંગ્રેસના શાસનમાં ગરીબો અને આદિવાસીઓ અલગ અલગ પડી ગયા. જ્યારે સાબરકાંઠાના હિંમતનગરમાં ખેડૂતો અને આમ આદમીના કલ્યાણ મુદ્દે કોંગ્રેસ પર નિશાન તાક્યું.