ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નું બંને તબક્કાનું મતદાન પૂર્ણ થયુ છે. 8મી ડિસેમ્બરે પરિણામ જાહેર થશે એ પહેલા જાહેર થયેલા વિવિધ એજન્સીના એક્ઝીટ પોલમાં ભાજપને વધુ સીટો મળતી દેખાઈ રહી છે. ગુજરાતમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જોવા મળ્યો હતો. જેમા ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળ્યો હતો. બીજા તબક્કાના મતદાન બાદ આવેલા એક્ઝીટ પોલમાં ભાજપને 125થી 130 બેઠકો મળી શકે છે જ્યારે કોંગ્રેસને 40 થી 50 બેઠકો અને આપને 3થી 5 બેઠકો જ્યારે અન્યને 3થી7 બેઠકો મળી શકે છે.
એક્ઝીટ પોલના આંકડા અંગે અમારા સંવાદદાતાએ આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી સાથે વાતચીત કરી હતી. જેમા ઈસુદાન ગઢવીએ જણાવ્યુ કે 8 ડિસેમ્બરે ગુજરાતમાં ઈતિહાસ રચાશે અને આમ આદમી પાર્ટી 100થી વધુ બેઠકો જીતશે.
એક્ઝીટ પોલ અંગે વાત કરતા ઈસુદાને જણાવ્યુ કે જે એક્ઝીટ પોલ આવ્યા છે એ સ્વાભાવિક છે કે જ્યારે ત્રણ પાર્ટીઓ ચૂંટણી લડતી હોય ત્યારે એક્ઝીટ પોલમાં અંદાજ નથી લગાવી શકાતો. તેમણે જણાવ્યુ કે જ્યારે દિલ્હીમાં 2013માં અરવિંદ કેજરીવાલ લડ્યા ત્યારે એવુ કહેવાતુ હતુ કે, કેજરીવાલ તેમની ડિપોઝીટ બચાવી લે તો પણ બહુ છે. પરંતુ તે સમયે આપે 28 સીટ સાથે સરકાર બનાવી હતી.
તેમણે ઉમેર્યુ કે તેમને સંપૂર્ણ વિશ્વાસ છે કે લોકો ચોક્કસ પરિવર્તન લાવશે કારણ કે તેમને આમ આદમી પાર્ટી અને કેજરીવાલની ગેરંટી પર વિશ્વાસ છે અને 8 ડિસેમ્બરે કંઈક નવુ થશે. વધુમાં તેમણે જણાવ્યુ કે ગુજરાતમાં જે પણ પરિણામો આવે, આપને એક સીટ મળે કે 100 સીટ મળે 10 ડિસેમ્બરથી ફરીથી જનતા વચ્ચે જઈશુ.