ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષોની સાથે ચૂંટણી પંચ પણ સક્રિય થયું છે.રાજ્યમાં નશાબંધી અધિનિયમ હેઠળ 3 થી 25 નવેમ્બર દરમ્યાન કુલ 29,844 કેસ કરવામાં આવ્યા છે. જે પૈકી 24,710 આરોપીની ધરપકડ થઇ છે. જ્યારે કે રાજ્યમાં 55,640 પરવાના ધરાવતા હથિયાર ધારકો પાસેથી કુલ 51,126 હથિયારો જમા લેવામાં આવ્યા છે.રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ જણાવ્યું કે ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ રાખવા રાજ્યમાં હાલમાં 710 ફ્લાઈંગ સ્કૉડ અને 1,058 સ્ટેટીક સર્વેલન્સ ટીમો કાર્યરત છે. અત્યાર સુધીમાં રૂ.282.08 કરોડની કુલ જપ્તી કરવામાં આવી છે.જેમાં રૂ.26.37 કરોડની રોકડ રકમ, 3.47 લાખ લિટર જેટલો રૂ.12.45 કરોડની કિંમતનો દારૂ, 938.81 કિલો જેટલું રૂ.61.63 કરોડનું ડ્રગ્સ અને રૂ.14.56 કરોડની કિંમતના 179.76 કિલો સોનુ-ચાંદી જપ્ત કરવામાં આવ્યા છે. જ્યારે રૂ.167.07 કરોડની કિંમતની અન્ય ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.
મુખ્ય નિર્વાચન અધિકારીએ જણાવ્યું હતું કે,રાજ્યમાં આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ થઈ રહ્યો છે. આદર્શ આચારસંહિતા અમલી બન્યા પછી અત્યાર સુધીમાં સરકારી અને ખાનગી ઈમારતો પરથી 3,07,574 લખાણો, જાહેરાતો, પોસ્ટર્સ, બેનર્સ વગેરે દૂર કરવામાં આવ્યા છે. આચારસંહિતાના અમલના ભંગની કુલ 2,423 અરજીઓ મળી છે, જેમાંથી 2,389 નો નિકાલ કરવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાંથી કુલ 3,822 જનરલ ફરિયાદો મળી છે, તેમાંથી 3,600 અરજીઓનો નિકાલ કરાયો છે.
Published On - 9:47 pm, Fri, 25 November 22