રાજ્યભરમાં લમ્પી વાયરસે (Lumpy virus) હાહાકાર મચાવ્યો છે. લમ્પીને કારણે અનેક પશુના મોત થઇ રહ્યાં છે. પશુધન સુરક્ષિત રહે તે માટે સરકાર દ્વારા પશુઓને વેક્સિન (vaccine) આપવામાં આવી રહી છે. જામનગરમાં (Jamnagar) પણ 500 જેટલા લમ્પી વાયરસના કેસ સામે આવેલા છે. જો કે જામનગરના કાલાવાડમાં લમ્પી વાયરસ થયા બાદ મૃત્યુ પામેલા પશુઓની હાલત ખૂબ જ ખરાબ બની છે. મરી ગયેલા પશુઓને કોઇ ઉઠાવવા પણ નથી આવી રહ્યુ. ત્યારે લમ્પી વાયરસના કહેરના પગલે કૃષિ પ્રધાન રાઘવજી પટેલ આજે જામનગર અને દેવભૂમિ દ્વારકાની મુલાકાત લેશે. વિવિધ ગૌશાળામાં જઇ સ્થિતિની સમીક્ષા કરશે.
રાજ્યભરના અનેક જિલ્લામાં લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો છે અને અબોલ પશુ મોતને ભેટી રહ્યાં છે. ત્યારે સૌરાષ્ટ્રમાં પણ લમ્પી વાયરસ વકરતા સરકારની ચિંતામાં વધારો થયો છે. જેના ભાગરૂપે કૃષિ પ્રધાન રાઘવજી પટેલ સૌરાષ્ટ્રના પ્રવાસે જશે. કૃષિ પ્રધાન રાઘવજી પટેલ જામનગર અને દેવભૂમિ દ્વારકામાં ગૌશાળાની મુલાકાત લેશે. તેઓ દરેડ અને વિભાપર ગૌશાળાની મુલાકાત કરશે. તો ખંભાળીયા અને દ્વારકાની વિવિધ ગૌશાળામાં જશે. ત્યારબાદ બંને જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક કરશે અને લમ્પીની સ્થિતિ અંગે માહિતી મેળશે.
મહત્વનું છે કે, જામનગરમાં લમ્પી વાયરસના ખૂબ જ કેસ નોંધાઇ રહ્યા છે. જામનગરમાં લમ્પી વાયરસની રસીના ઓછા જથ્થાને લઈ તબીબોનો સંવાદ સામે આવતા સરકાર એક્શનમાં આવી છે. રાજ્ય સરકારે લમ્પી વાયરસની રસીને તાત્કાલિક 50 હજાર ડોઝ જામનગર મોકલાવ્યા છે. આ સાથે જ પશુઓની સારવાર માટેની બે વાન પણ ફાળવી છે. એક વાન મારફતે જામનગર શહેર અને બીજી જિલ્લામાં પશુઓની સારવાર માટે મોકલાઈ છે. જામનગર શહેરમાં 477 અને જિલ્લામાં 3141 લમ્પી વાઈરસના કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ તંત્રએ અત્યાર સુધીમાં 8130 અને જીલ્લામાં 59125 પશુઓને રસી આપી છે.
Published On - 11:44 am, Sat, 30 July 22