ગીરનાર પર આવેલા અંબાજી શક્તિ પીઠના ભંડારામાં કથિત મદિરાપાનની પાર્ટીનો વીડિયો વાયરલ થતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. SDM ચરણસિંહ ગોહીલ આજે ગીરનાર પર્વત પહોંચ્યા હતા અને પૂજારી સહિતના 26 લોકો સાથે SDM અને તેમની ટીમ પૂછપરછ કરશે. જે જગ્યા પર પાર્ટીનું આયોજન કરાયુ હતુ તેની મુલાકાત લેવાઈ છે. મા અંબેના શક્તિપીઠ ખાતે સઘન તપાસ હાથ ધરાઈ છે. CCTV ચેક કરી વાયરલ વીડિયો મુદ્દે તપાસ કરવામાં આવશે.
આ મંદિર લાખો લોકોની આસ્થાનુ કેન્દ્ર છે. દર વર્ષે અહીં મોટી સંખ્યામાં ભાવિકો માતાજીના દર્શનાર્થે આવતા હોય છે. આ મંદિરના મહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદથી મંદિરનો વહીવટ મામલતદાર હસ્તક છે. જુનાગઢ શહેરના મામલતદાર જ મંદિરના વહીવટદાર છે. ત્યારે મંદિરમાં વહીવટદારનું શાસન હોવા છતા મંદિર ખાતે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમા અમુક તત્વો મંદિરના ભંડારામાં દારૂની પાર્ટી સહિતની ગેરકાયદેસર પ્રવૃતિ અને અભદ્ર શબ્દોના ઉચ્ચારણ કરતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ બાબત સામે આવતા ભાવિકોમાં ભારે રોષ ફેલાયો છે. સમગ્ર ઘટના અંગે તંત્રએ વધુ CCTV ફૂટેજ સહિતની વિગતો મંગાવી છે.
ગુરુવારે મામલતદારે આ બાબતને ધ્યાને લઈ પ્રાથમિક તપાસમાં બેદરકારી સામે આવતા મંદિરના પૂજારી, રસોયા અને સહાયક સ્ટાફના કુલ 11 લોકોને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ મચ્યો હતો. હજુ આ મામલે પોલીસ ફરિયાદ નથી નોંધાઈ પરંતું હાલ SDM અને તેમની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. આ દરમિયાન માતાજીની પૂજા અને અન્ય વિધિની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સેવા પૂજાના જાણકાર બે વ્યક્તિઓને કામચલાઉ ધોરણે રાખવામા આવ્યા છે. મંદિરમાં દારુ પાર્ટની વાયરલ ક્લિપ અંગે મામલતદારે જણાવ્યુ કે આ વીડિયો કેટલો જુનો છે. તેમા કેટલી સત્યતા છે અને તેમાં કેટલા લોકો સામેલ છે તે અંગેની હાલ તપાસ ચાલી રહી છે. આ અંગેનો અહેવાલ આવ્ા બાદ જવાબદારો સામે કાયદેસર કાર્યવાહી કરાશે.
જો કે તંત્ર દ્વારા તપાસનું ગાણુ ગવાઈ રહ્યુ છે પરંતુ જે આ ક્લિપમાં દેખાઈ જ નથી રહ્યા તેમના પર મંદિરમાં પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. જેને લઈને પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. વીડિયોમાં જે લોકો અભદ્ર શબ્દોનું ઉચ્ચારણ કરતા જોવા મળી રહ્યા છે તેમાથી કોઈ પૂજારી નથી પરંતુ પૂજારી અથવા મંદિર સાથે સંકળાયેલા વ્યક્તિ પ્રેરિત હોય તેવી સંભાવના છે. જો કે આ બાબતે સમગ્ર તપાસ થયા બાદ જ હકીકત સામે આવશે. સામે પક્ષે તનસુખગિરી બાપુના વારસદારો પણ રોષે ભરાયા છે. તેમણે જવાબદારો સામે કડક કાર્યવાહીની માગ કરી છે. સાથે જ તેમનું કહેવું છે કે તેઓ જ પૂજાના સાચા હકદાર હોઈ તેમને મંદિરમાં સેવા-પૂજા કરવા દેવામાં આવે. તેઓ વ્યસનથી દૂર રહેનારા લોકો છે. અને હાલ ખોટી રીતે તેમનો હક છીનવાઈ રહ્યો છે.
આ મામલે ભૂતનાથ મહાદેવના મહંત મહેશગીરી બાપુએ પણ આ ઘટનાને વખોડી દુ:ખ વ્યક્ત કર્યુ અને કહ્યું કે ગિરનાર એક અભૂતપૂર્વ તીર્થ સ્થાન છે તેમાં બનેલી આ ઘટના ખૂબ નિંદનીય છે. આવા તત્વો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. બીજી તરફ ભરૂડીયા એકલધામના મહંત દેવનાથ બાપુએ ઘટનાને વખોડી છે અને આરોપી સામે કડકમાં કડક સજા કરવા માગણી કરી. દેવનાથ બાપુએ કહ્યું કે ગિરનાર જેવી પવિત્ર જગ્યા પર આવુ કૃત્ય કરનારાઓને તેની પેઢીઓ યાદ રાખે તેવી કડક સજા આપવી જોઈએ..આસ્થાના કેન્દ્ર સમાન ગિરનારમાં આવી પ્રવૃત્તિ ચલાવી ન લેવાઈ
આ સમગ્ર મામલે જુનાગઢના અધિક કલેક્ટરે ખાતરી આપતા કહ્યું કે SDMને સમગ્ર ઘટનાનો રિપોર્ટ કરવા સૂચના આપી છે. રિપોર્ટ બાદ જે પણ તથ્યો સામે આવે તે મુજબ કાર્યવાહી કરાશે.
Input Credit- Vijaysinh Parmar- Junagadh
Published On - 4:22 pm, Sun, 15 March 26