લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે,તેમ તેમ વિવિધ પક્ષોમાં આયારામ ગયારામ શરુ થઇ ગયુ છે. ભૂપત ભાયાણી અને અરવિંદ લાડાણી ભાજપમાં સામેલ થયા છે. કેશોદ તાલુકા કોંગ્રેસના પ્રમુખ અશ્વિન ખટારીયા અને સમીર પાંચાણી પણ ભાજપમાં સામેલ થયા છે. આ તમામે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો છે.
લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો જામ્યો છે. AAPના પૂર્વ MLA ભૂપત ભાયાણીએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. પોતાના મત વિસ્તાર વિસાવદરમાં શક્તિ પ્રદર્શન કર્યા બાદ ભૂપત ભાયણી ભાજપમાં જોડાયા છે. ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટી સાથે જોડાયા તે પહેલા તેઓ ભાજપમાં હતા.
વર્ષ 2022માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં વિસાવદરમાં આમ આદમી પાર્ટીની જીત થઈ હતી. ભૂપત ભાયાણી અહીં વધુ વોટ મેળવીને વિજયી થયા હતા. ભૂપત ભાયાણી 66 હજાર વોટ સાથે જીત્યા હતા. જ્યારે હર્ષદ રિબડિયા કે જેમને કોંગ્રેસમાંથી ભાજપમાં લાવવામાં આવ્યા હતા.તેમને અહીં ભાજપમાંથી ટિકિટ આપવામાં આવી હતી.જો કે તેઓ આ બેઠક પરથી હાર્યા હતા. બીજી તરફ અહીં કોંગ્રેસમાંથી કરસનભાઇ વાડોદરિયા પણ આ બેઠક પર હાર્યા હતા.
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય તરીકે વર્ષ 2022 વિધાનસભા ચૂંટણીમાં જીત્યા હતા.તેઓ સ્થાનિક વિસ્તારમાં 108 તરીકેની ઓળખ ધરાવે છે. 2022માં ભાજપ માટે તેઓ જાયન્ટ કિલર બન્યા હતા. સરપંચથી ધારાસભ્ય સુધી તેમણે રાજકીય સફર ખેડેલી છે. વર્ષ 2017 સુધી ભૂપત ભાયાણી ભાજપમાં જ હતા. જો કે 2022માં તેઓ ‘આપ’માંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. તેઓ આ પહેલા જૂનાગઢ જિલ્લાના ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે. જો કે સરપંચ પદેથી ભાયાણીને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા. ભૂપત ભાયાણીને પૂર્વ CM વિજય રૂપાણીના નિકટના નેતા માનવામાં આવે છે.
કોંગ્રેસના ખંભાતના પૂર્વ MLA ચિરાગ પટેલ આવતીકાલે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરવાના છે.તેઓ પણ પોતાના જ મતવિસ્તારમાંથી શક્તિ પ્રદર્શન કર્યા બાદ ભાજપમાં સામેલ થવાના છે. શક્તિ પ્રદર્શનનું કારણ એ હોય છે કે આગામી જે વિધાનસભાની પેટાચૂંટણી આવી રહી છે, તેમાં તે ઉમેદવાર તરીકે ઊભા રહેશે.આ સાથે જ સ્પષ્ટ થઇ ગયુ છે કે આગામી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભૂપત ભાયાણી અને ચિરાગ પટેલ ભાજપમાંથી જ ઉમેદવારી કરવાના છે.