રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે સુરેન્દ્રનગરના પાટડીમાં આગની ઘટનામાં 9 દાઝ્યા છે. રસોઈ બનાવતી વખતે આગ લાગવાની ઘટના બની હતી. રાંધણ ગેસની પાઈપ નીકળી જતા આગ લાગી હતી. જેમાં મહિલા, બાળકો સહિત 9 લોકો ગંભીર રીતે દાઝ્યા હતા.
ઘરની અંદર આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ સાથે જ ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ગાડીઓ સ્થળ પર દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો. દાઝી ગયેલા લોકોને તાત્કાલિક સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડાયા છે.
બીજી તરફ ભરૂચમાં દહેજ બાયપાસ રોડ પર ટેન્કરમાં ભીષણ આગની ઘટના બની હતી. ટેન્કરમાં ડિઝલ ભરેલું હોવાથી આગ વિકરાળ બની હતી. રોડ વચ્ચે ટેન્કર ભડભડ સળગી ઉઠતા વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. જેના કારણે ટ્રાફિકજામ પણ સર્જાયો હતો. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ટેન્કર પર પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી.