ગુજરાતના પ્રખ્યાત ગઝલ ગાયક મનહર ઉધાસ (Manhar Udhas) ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ભાજપ (BJP)ના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ (C R Patil)ની હાજરીમાં તેમણે પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. પાટીલે તેમને ભાજપનો ખેસ પહેરાવી તેમને આવકાર્યા હતા. મનહર ઉધાસ સહિત અન્ય કલાકારો પણ ભાજપમાં જોડાયા છે. જેમાં મૌસમ મહેતા, પાયલ શાહ, મૌલિક મહેતા ભાજપમાં જોડાયા હતા. અગાઉ પણ વિજય સુવાળા, કિંજલ દવે, ગીતા રબારી, ભક્તિ કૂબાવત સહિતના કલાકારો પણ ભાજપમાં જોડાઈ ચુક્યા છે.
આ દરમિયાન મનહર ઉધાસે Tv9 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે નરેન્દ્ર મોદીની કાર્યશૈલીથી ઘણા પ્રભાવિત છે અને તેમની પાર્ટીમાં જોડાવાની તક મળતા તેઓ ખુદને ઘણા ભાગ્યશાળી ગણે છે. મનહર ઉધાસે જણાવ્યુ કે તેઓ પહેલેથી નરેન્દ્ર મોદીના ફેન રહ્યા છે. મોદી સરકાર દ્વારા જે પણ કંઈ કાર્યો થઈ રહ્યા છે તેમા શું પ્રદાન આપી શકુ તેવુ હંમેશા લાગતુ હતુ અને ભાજપમાં જોડાવાનો આ એકમાત્ર હેતુ છે.
અમારા સંવાદદાતાએ મનહર ઉધાસને પૂછ્યુ હતુ કે આગામી દિવસોમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ છે, ત્યારે ભાજપ માટે નવા ગીતો કે જીંગલ્સ બનાવશે? જેના જવાબમાં મનહર ઉધાસે જણાવ્યુ હતુ કે તેઓ ચોક્કસથી ભાજપ માટે ગીતોરજૂ કરશે, નવા ગીતો પણ બનાવશે અને ટૂંક સમયમાં તેઓ આ ગીતો સંભળાવશે. આ દરમિયાન તેમણે એમ પણ જણાવ્યુ કે તેમના 36માં ગઝલ આલ્બમનું સી.આર. પાટિલના હસ્તે વિમોચન કરવામાં આવ્યુ છે.