Ahmedabad: તબીબોની હડતાળના પગલે સિવિલ હોસ્પિટલમાં દૈનિક સર્જરીની કામગીરીને અસર, 20 ટકા ઓપરેશન રદ કરવા પડ્યા

|

Apr 05, 2022 | 2:06 PM

ગુજરાતના સરકારી હોસ્પિટલના તબીબો ગઈકાલથી હડતાળ પર ઉતર્યા છે. પડતર માગણીઓ સાથે સતત ત્રીજી વાર સરકારી હોસ્પિટલના તબીબો હડતાળ પર ઉતર્યા છે. રાજ્યના 10 હજાર કરતાં વધુ તબીબો હડતાળ પર છે જેના કારણે ઓપીડી અને ઈમરજન્સી સેવાઓ પર અસર થઇ રહી છે.

અમદાવાદમાં તબીબોની (Doctors) હડતાળના (Strike) પગલે સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) સર્જરીની કામગીરીને અસર પહોંચી છે. સામાન્ય દિવસોમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 60 જેટલા ઓપરેશન થતા હોય છે. જોકે ગઈકાલે તબીબોની હડતાળ શરુ થતા માત્ર 40 જ ઓપરેશન થયા. સિવિલ સુપરિન્ટેન્ડેન્ટના જણાવ્યા અનુસાર હડતાળને લઈ પ્લાન ઓપરેશન 20 ટકા રદ કરવા પડ્યા છે તો બીજી તરફ યુ.એન.મહેતા કેન્સર અને કિડની હોસ્પિટલ પાસેથી 14 તબીબો મદદ માટે લેવામાં આવ્યા છે.

ગુજરાતના સરકારી હોસ્પિટલના તબીબો ગઈકાલથી હડતાળ પર ઉતર્યા છે. પડતર માગણીઓ સાથે સતત ત્રીજી વાર સરકારી હોસ્પિટલના તબીબો હડતાળ પર ઉતર્યા છે. રાજ્યના 10 હજાર કરતાં વધુ તબીબો હડતાળ પર છે, જેના કારણે ઓપીડી અને ઈમરજન્સી સેવાઓ પર અસર થઇ રહી છે. સિવિલ સુપરિન્ટેન્ડેન્ટના જણાવ્યા અનુસાર ગઇકાલે ઓપીડીમાં 3000 જેટલા દર્દીઓએ સારવાર મેળવી હતી.

હડતાળ મુદ્દે જીએમટીએના પ્રમુખ રજનીશ પટેલ તથા જીએમટીએના સેક્રેટરી જે.સી.મકવાણાએ જણાવ્યુ હતુ કે, પડતર માંગણીઓ મુદ્દે અમારી લડત 2012થી ચાલુ છે. 16 મે 2021ના રોજ NPA માટે ઠરાવ થયો હતો. જોકે સરકાર બદલાતાં અમારો મુદ્દો ભુલાયો છે. તેમણે જણાવ્યુ કે ત્રણ વાર હડતાળ મોકુફ રાખી અને એક વાર કેન્સલ કરી પણ હજુ કોઈ નિવારણ આવ્યુ નથી. 31 માર્ચ વિતી હોવા છતાં અમારી માગણીના ઠરાવ ન થતા હડતાળનો નિર્ણય લીધો છે.

મહત્વનું છે કે રાજ્યભરના તબીબો વિવિધ માગણીઓ સાથે ગઈકાલથી હડતાળ પર ઉતર્યા છે. એડહોકસેવાઓ સળંગ કરવામાં આવે, છેલ્લા 12 વર્ષથી બઢતી કરવામાં આવી નથી તે બઢતી તાત્કાલિક આપવામાં આવે, રાજ્યની સરકારી મેડિકલ કોલેજમાં 400 પોસ્ટ ખાલી છે તેની સામે 800 મેડિકલ પ્રોફેસર છે, જેમને બઢતી આપી ખાલી 400 પોસ્ટ ભરવામાં આવે જેવી વિવિધ માગ સાથે તબીબો હડતાળ પર છે. જેના કારણે દર્દીઓની સારવાર પર અસર વર્તાઇ રહી છે.

આ પણ વાંચો-

Ahmedabad: ચૌધરી હોસ્પિટલમાં મહિલા દર્દીનું મોત થતાં પરિજનોએ ડૉક્ટર પર બેદરકારીનો આક્ષેપ કર્યો

આ પણ વાંચો-

Ahmedabad: હીટવેવના પગલે અમદાવાદની હોસ્પિટલ્સમાં દર્દીઓની સંખ્યા વધી, દરરોજ 250થી વધુ લોકો ગરમીથી પડે છે બીમાર

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Published On - 2:05 pm, Tue, 5 April 22

Next Video