કેવી રીતે સૌ ભણે, સૌ આગળ વધે? ગુજરાતના આ ગામમાં વાલીઓએ બાળકોને શાળામાં મોકલવાનું જ બંધ કર્યું, જાણો કારણ

|

Jan 03, 2022 | 8:23 AM

દીવાલ પર તો સૌ ભણે આગળ વધે અને સર્વ શિક્ષા અભિયાનના સૂત્ર લગાવવામાં આવ્યા છે. પરંતુ એ માત્ર સૂત્રો જ બનીને રહી ગયા છે. જાણો છોટા ઉદેપુરની આ શાળાની સ્થિતિ.

Education In Gujarat: છેવાડાના ગામડા (Villages) સુધી ભણતર પહોંચ્યુ હોવાના સરકારના (Gujarat Government) દાવા છતાં છોટાઉદેપુરના (Chhota Udepur) અંતરિયાળ ગામોમાં જાવ તો કડવી હકીકત સામે આવશે. અહીં વિદ્યાર્થીઓને માથે જોખમ એવુ છે કે વાલીઓએ બાળકોને શાળામાં મોકલવાનું બંધ કર્યું છે. આખરે આ બાળકોની ફિકર કરશે કોણ?

નસવાડી તાલુકાના છઠ્ઠી આમલી ગામની આ શાળા જોઇને લાગે કે કોઈ જુનું ખંદાર છે. શાળામાં બે ઓરડા છે અને બંને જર્જરિત નહીં, પણ અતિજર્જરિત છે. દિવાલો અને છત પરથી સતત પોપડા પડી રહ્યા છે. ત્યારે સ્કૂલની દિવાલોમાં તીરાડો અને પીલરોમાંથી સળિયા દેખાય છે.

આવી સ્થિતિમાં બાળકો, વાલીઓ અને ખુદ શિક્ષકો ભયમાં રહે છે. શાળાની આવી હાલત જોતાં વાલીઓ બાળકોને સ્કૂલમાં મોકલવાનું ટાળે છે. એને બદલે તેઓ ગામથી 15 કિમી દૂર આવેલી અન્ય શાળામાં મોકલે છે. તો કેટલાક સાવ નબળી આર્થિક સ્થિતિના વાલીઓએ તો પોતાના બાળકોને સ્કૂલે મોકલવાનું જ બંધ કર્યું છે.

શાળાના નવ નિર્માણ અંગેની રજૂઆતને લઈને બે વર્ષ પહેલાં જ તંત્રને જાણ કરાઇ હતી. પરંતુ હજી સુધી કોઇ જ પગલાં લેવાયા નથી. દીવાલ પર તો સૌ ભણે આગળ વધે અને સર્વ શિક્ષા અભિયાનના સૂત્ર લગાવવામાં આવ્યા છે. પરંતુ એ માત્ર સૂત્રો જ બનીને રહી ગયા છે. અહીં બાળકો ભણવા માગે છે તો તેમના માટે બે સારા ઓરડાની પણ વ્યવસ્થા નથી. કોઈ અકસ્માત થાય તેની રાહ જોયા વગર શું સરકારી તંત્ર આ શાળાની સ્થિતિ સુધારવા કોઈ પહેલ કરશે?

 

આ પણ વાંચો: 15થી 18 વર્ષના બાળકોના વેક્સિનેશનનો મુખ્યમંત્રીએ કરાવ્યો પ્રારંભ, જાણો રસીકરણ માટેની આ મહત્વની સૂચનાઓ

આ પણ વાંચો: કોરોના અને AMC બંને મક્કમ: કેસ ભલે વધે ફ્લાવર શો તો થશે જ! જાણો અમદાવાદમાં કોરોનાની સ્થિતિ અને શોની તૈયારી

Published On - 8:22 am, Mon, 3 January 22

Next Video