Rajkot : રાજકોટના ધોરાજીમાં રખડતા ઢોર પર અંકુશ મેળવવામાં તંત્ર નિષ્ફળ ગયુ છે. તંત્રના લાખ પ્રયાસ બાદ પણ રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. શહેરના મુખ્ય માર્ગ પર આખલાઓ અડિંગો જમાવીને બેઠા છે. ત્યારે હાલ રખડતા ઢોરની સમસ્યા લોકો માટે માથાના દુ: ખાવા સમાન બની ગઈ છે. ગેલેક્સી ચોક, મેઈન બજાર ચોક, અવૈધા ચોક અને શાક માર્કટ સહિતના વિસ્તારોમાં રખડતા ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યા છે.
રખડતી રંજાડને કારણે હાલ લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.સ્થાનિકોનો આક્ષેપ છે કે મુખ્ય માર્ગ પર છાસવારે આખલાઓનુ યુધ્ધ જામે છે. જેથી લોકોએ બહાર નીકળવુ મુશ્કેલ બની રહ્યુ છે.તો આતરફ ધંધાર્થીઓએ ધંધો કરવો અને બાળકોએ શાળાએ જવુ મુશ્કેલ બની રહ્યુ છે.
ગુજરાતમાં આખલાના આતંકની ઘટનાઓ ચિંતાજનક હદે વધી રહી છે. અલગ અલગ સ્થળોએથી આખલા બાખડવાની અથવા તો કોઈ વ્યક્તિને રખડતા ઢોરે અડફેટે લેવાની ઘટનાઓ સામે આવી રહી છે.થોડા દિવસો અગાઉ જેતપુર, ભાવનગર, આણંદ અને બનાસકાંઠામાં ઢોરના આતંકની અલગ અલગ ઘટનાઓ સામે આવી હતી. રખડતા ઢોર અચાનક ભર બજારમાં આવીને આતંક મચાવતા હોય તેવા અલગ અલગ દ્રશ્યો પણ સામે આવતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો.