કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વીર સાવરકર અંગે કરેલી ટિપ્પણીને કારણે ભારે વિવાદ સર્જાયો છે. ત્યારે હવે ગુજરાતની ચૂંટણીમાં પણ વીર સાવરકર મુદ્દે રાજનીતિ તેજ થઈ છે. એકતરફ રાહુલ ગાંધીના નિવેદન બાદ ભાજપના દિગ્ગજ નેતાઓએ પણ એ નિવેદનને વખોડ્યુ છે તો હવે આ વિવાદમાં રાહુલ બાદ ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ કરેલા ટ્વીટથી વિવાદ સર્જાયો છે. તુષાર ગાંધીએ ટ્વીટ કરી જણાવ્યુ છે કે સાવરકરે ફક્ત બ્રિટીશરોને જ મદદ નહતી કરી, પરંતુ બાપુની હત્યા કરવા ગન શોધવા માટે નથુરામ ગોડ્સેની પણ મદદ કરી હતી.
તુષાર ગાંધીએ કહ્યુ હત્યાના બે દિવસ પૂર્વે ગોડ્સે પાસે 9 mm સેમિ ઓટોમેટિક ગન નહોતી. ગુજરાતની મુલાકાતે આવેલા તુષાર ગાંધીએ ટીવી નાઇન સાથે ખાસ વાતચીત કરી. આ દરમ્યાન તેમણે જણાવ્યું કે બાપુને મારવા માટે ગોડસે પાસે ગન નહોતી. તેઓ મુંબઇમાં શસ્ત્ર શોધવા માટે રખડી રહ્યા હતા. જે બાદ સાવરકરે તેને ગન શોધવા માટે મદદ કરી. મેં જે ટ્વિટ કર્યું છે તેમાં એક પણ વાત મારા તરફથી નથી કરી. કપૂર કમિશનના રિપોર્ટમાં જ આ તમામ બાબતોનો ઉલ્લેખ છે.
કોંગ્રેસે જણાવ્યું કે સાવરકર મુદ્દે તુષાર ગાંધીના નિવેદનને ગંભીરતાથી લેવુ જોઈએ. કોંગ્રેસ પ્રવક્તા આલોક શર્માએ કહ્યુ કે ગુજરાતની જનતાએ નક્કી કરવાનું છે કે ગાંધી અને સરદાર પટેલની વિચારધારાવાળા પક્ષને મત આપવો છે કે ગોડસેની વિચારધારાવાળા પક્ષની પસંદગી કરવી છે
આ તરફ વીર સાવરકર મુદ્દે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીને ભાજપે જવાબ આપ્યો છે. ભાજપ નેતા સુંધાશુ ત્રિવેદીએ જણાવ્યું કે વીર સાવરકરને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા. તેમણે જણાવ્યું કે 26 મે 1920ના રોજ મહાત્મા ગાંધીએ પત્ર લખ્યો હતો જેમાં બાપુએ લખ્યુ હતુ કે વીર સાવરકર તેમની દ્રષ્ટ્રીએ બહાદુર, ચતુર અને દેશભક્ત છે.