ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. હાલ તમામ પક્ષો પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપે હજુ સુધી તેમના ઉમેદવારોની એક પણ યાદી જાહેર કરી નથી જયારે કોંગ્રેસે તેના 43 ઉમેદવારોનુ લિસ્ટ જાહેર કરી દીધુ છે. અત્યારે કોંગ્રેસે દક્ષિણ ગુજરાતની બેઠકોને લઈને મંથન શરૂ કર્યુ છે. દક્ષિણ ગુજરાતની બેઠકો કે જેમા આદિવાસી બેલ્ટ પણ આવે છે. સુરતની શહેરી બેઠકો પર પણ કોંગ્રેસે મંથન શરૂ કર્યુ છે.
દક્ષિણ ગુજરાતની 35 પૈકી 13 બેઠકોના ઉમેદવાર કોંગ્રેસ પહેલા જ જાહેર કરી ચુકી છે. અન્ય ઉમેદવારોની પસંદગી માટે કોંગ્રેસની બેઠક મળી હતી. ભરૂચ જિલ્લાની અંકલેશ્વર બેઠકની જો વાત કરીએ તો અહીં વલ્લભ પટેલ, મગન પટેલ અને અનિલ ભગતનું નામ ચર્ચામાં છે. જ્યારે સુરતની માંગરોળ બેઠક પર હરીશ વસાવા, જગતસિંહ વસાવા અને અનિલ ચૌધરીનું નામ ચર્ચાઈ રહ્યુ છે. તો સુરતની માંડવી બેઠક પર આનંદ ચૌધરીના નામ પર મંથન ચાલી રહ્યુ છે.
કોંગ્રેસે જાહેર કરેલ પ્રથમ યાદીમાં હાલના 63 પૈકી એક પણ ધારાસભ્યનું નામ સામેલ નથી. જોકે ઝાલોદ વિધાનસભા બેઠક પર હાલના ધારાસભ્ય ભાવેશ કટારાની ટિકિટ કપાઈ છે. ઝાલોદમાં કોંગ્રેસે ભાવેશ કટારાના બદલે પૂર્વ ધારાસભ્ય ડૉ. મિતેશ ગરાસીયાની પસંદગી કરી છે. મહત્વનું છે કે અગાઉ ભાવેશ કટારાને લઈ અનેક પ્રશ્નો ઉદ્દભવ્યા હતા. રાહુલ ગાંધીની દાહોદમાં સભા પૂર્વે નારાજગીની બાબતો પણ સામે આવી હતી. જો કે ત્યારે ઘીના ઠામમાં ઘી સમાઈ ગયું હતું. હવે જાહેર થયેલ યાદીમાં ભાવેશ કટારાનું નામ નહીં.