‘રાજ્યના 40 હજાર વિદ્યાર્થીઓનું ભાવિ અદ્ધરતાલ’, કોંગ્રેસે ફરી એક વખત ભાજપ સરકાર પર સાધ્યું નિશાન
મેડિકલમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયો છતાં આયુર્વેદિક, હોમિયોપેથી અને નર્સિંગની કોલેજોને મંજૂરીના કોઇ ઠેકાણા ન હોવાથી પ્રવેશ પ્રક્રિયામાં વિલંબ થઇ રહ્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.
પ્રવેશ પ્રક્રિયામાં વિલંબને કારણે રાજ્યના મેડિકલ ક્ષેત્રના 40 હજાર જેટલા વિદ્યાર્થીઓનું ભાવિ અદ્ધરતાલ બન્યું હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. આ મામલે કોંગ્રેસે ફરી એક વખત રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું. કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ આક્ષેપ કર્યો કે કેન્દ્ર સરકાર હસ્તકની કાઉન્સિલની મનમાનીથી ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત છે.
મેડિકલમાં પ્રવેશનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ છતાં કોલેજોને નથી મળી મંજૂરી
મેડિકલમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયો છતાં આયુર્વેદિક, હોમિયોપેથી અને નર્સિંગની કોલેજોને મંજૂરીના કોઇ ઠેકાણા ન હોવાથી પ્રવેશ પ્રક્રિયામાં વિલંબ થઇ રહ્યો છે. કુલ 30 હજાર બેઠકો માટે 40 હજાર વિદ્યાર્થીઓનો મેરિટ લિસ્ટમાં સમાવેશ કરાયો છે. પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરાવ્યાના મહિનાઓ વીત્યા છતાં કોલેજોને મંજૂરી મળી નથી. કાઉન્સિલ દ્વારા હજુ સુધી માત્ર ઇન્સપેક્શનની કામગીરી ચાલી રહી હોવાનો દાવો કોંગ્રેસે કર્યો.
ભાજપ સરકારને ઘેરવા કોંગ્રેસની નવી રણનિતી !
ગુજરાતમાં ભાજપ સરકારના 27 વર્ષના શાસનને હટાવવા કોંગ્રેસે કમર કસી છે, ત્યારે હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય બહાર પરિવર્તનની ઘડિયાળ લગાવવામાં આવી છે. પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમના હસ્તે આ પરિવર્તન ઘડિયાળ લગાવવામાં આવી. જેમાં મતગણતરીનો દિવસ એટલે કે 8 ડિસેમ્બરે બપોરના 12 કલાકનો સમય નોંધવામાં આવ્યો છે. ઘડિયાળ પર ‘સત્તામાં ભાજપની છેલ્લી ઘડીઓ’ એમ લખાણ લખવામાં આવ્યું છે. આ અંગે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું કે કોંગ્રેસ કાર્યાલય પર લગાવેલી ઘડિયાળ ગુજરાતની પ્રજાની ભાવનાને રિફ્લેક્ટ કરે છે. ગુજરાતની પ્રજા હવે પરિવર્તન ઇચ્છી રહી છે. જે દિવસે આ ઘડિયાળના તમામ આંકડા શુન્ય હશે એ દિવસે ગુજરાતમાં ભાજપની સરકાર નહીં હોય.