સરકારની વિવિધ યોજના હેઠળ ખેડૂતોના ખેતર સુધી પાણી મળી રહે તે માટે કેનાલોનું નિર્માણ કરાવવામાં આવતું હોય છે. પરંતુ ભાવનગરના ભાલ પંથકમાં દોઢ દાયકા પહેલા કરોડો રૂપિયાના ખર્ચે કેનાલો પાથરી દેવામાં આવી હતી. પરંતુ ત્યાર બાદ નર્મદા નિગમની પેટા કેનાલ એટલે કે લીમડી પેટા કેનાલના વિભાગની જવાબદારી આવતી હોય છે કે આ કેનાલની સાફ-સફાઈ તેમજ જર્જરીત બની ચૂકેલી કેનાલોનું રીનોવેશન કરાવે.
આ કેનાલમાં પાણી તો નથી આવતું. પરંતુ આ કેનાલથી ભ્રષ્ટાચારની ખેતી જરૂર થાય છે. આ કેનાલમાં પાણી ના આવતું હોવા છતાં દર વર્ષે સફાઈ ના નામે લાખો રૂપિયા ઉધારવામાં આવે છે. 12 વર્ષથી બનવવામાં આવેલી કેનાલ ખેડૂતોને છેવાડાના ગામ સુધી પાણીનું એક ટીપું પણ પહોંચતું નથી. પરંતુ નિગમના અધિકારીઓ આ કેનાલથી જરૂર માલામાલ થઇ રહ્યા છે.
ખેડૂતોની માંગ છે કે તેઓને પાણી આપવામાં આવે. જેથી ખેતીમાં તેઓને લાભ થાય. જો કે હાલ આ કેનાલ ખેડૂતોને ફાયદો નહીં પરંતુ નુકસાન કરાવી રહી છે.
ભાલ વિસ્તારમાં નર્મદા નિગમની કેનાલ આવવાથી ખેડૂતોને બહુ મોટી આશા બંધાણી હતી. નર્મદાના નીર ભાલમાં પોતાના ખેતર સુધી પહોંચશે અને નાના ખેડૂતોથી લઈને મોટા ખેડૂતોને શિયાળું પાક અને જરૂરના સમયે પાણી મળશે. જો કે પાણી તો નથી આવ્યું અને હવે આ કેનાલ તૂટી રહી છે. જેના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી ગઇ છે. હવે નર્મદાના નિગમના અધિકારીઓ કોઇ નક્કર કાર્યવાહી કરશે ત્યારે જ ખેડૂતોને ખરા અર્થમાં લાભ મળશે.
Published On - 11:38 pm, Tue, 26 March 24