Breaking News : રાજકોટમાં ફરી જળસંકટના ભણકારા, પાણીનો જથ્થો ઘટતા મનપાએ સરકાર પાસે માગી મદદ
રાજકોટના ડેમોમાં હાલ એટલો જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે કે જે આશરે 10 સપ્ટેમ્બર સુધી ચાલી શકે. જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો શહેરમાં પાણીની અછત વધુ ગંભીર બની શકે છે.
રાજકોટમાં વરસાદ ખેંચાતા રાજકોટમાં ફરી એકવાર જળસંકટની સ્થિતિ સર્જાવાની ભીતિ વધી છે. શહેરને પાણી પૂરું પાડતા ડેમોમાં પાણીનો જથ્થો સતત ઘટી રહ્યો છે. જેના કારણે રાજકોટ મહાનગરપાલિકા સતર્ક બની છે અને આગામી દિવસોમાં પાણીની સમસ્યા ઊભી ન થાય તે માટે સરકાર પાસે નર્મદાના પાણીની માંગ કરી છે.
રાજકોટમાં જળ સંકટની સ્થિતિ
મળતી માહિતી મુજબ, રાજકોટના ડેમોમાં હાલ એટલો જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે કે જે આશરે 10 સપ્ટેમ્બર સુધી ચાલી શકે. જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો શહેરમાં પાણીની અછત વધુ ગંભીર બની શકે છે. ડેમોમાં પાણીનું સ્તર ઘટતા મનપાની ચિંતા પણ વધી છે.
પાણી ખાલી થવાના આરે
રાજકોટ માટે મહત્વના આજી-1 અને ન્યારી-1 ડેમમાં પણ પાણીનો જથ્થો ઘટી રહ્યો છે. હાલ આજી-1 ડેમમાં 22.23 ફૂટ અને ન્યારી-1 ડેમમાં 16.20 ફૂટ પાણીનો જથ્થો નોંધાયો છે. અગાઉ નર્મદાના પાણીથી ભરાયેલા ડેમો હવે ફરી ખાલી થવાના આરે પહોંચતા પાણી વ્યવસ્થાને લઈને તંત્ર સામે પડકાર ઊભો થયો છે.
નગરપાલિકાએ સરકાર પાસે મદદ માગી
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકાએ પાણીના વૈકલ્પિક સ્ત્રોત અંગે સરકાર સમક્ષ રજૂઆત કરી છે. ખાસ કરીને નર્મદાના પાણીનો જથ્થો મેળવવાની માંગ કરવામાં આવી છે, જેથી રાજકોટ શહેરમાં આગામી દિવસોમાં પીવાના પાણીની વ્યવસ્થા જાળવી શકાય.
હવે જો વરસાદ ખેંચાય છે તો રાજકોટમાં પાણીની સમસ્યા વધુ ઘેરી બને તેવી શક્યતા છે. ત્યારે સરકાર તરફથી નર્મદાનું પાણી ક્યારે અને કેટલું મળે છે તેના પર સૌની નજર રહેશે.