કોરોના સંકટને લઈને સરકાર એક તરફ કોરોના વેક્સિન લેવા માટે લોકોને જાગૃત કરી રહી છે તો બીજી તરફ ભાવનગરમાં કોરોના વેક્સિનની અછત સર્જાઈ છે. ભાવનગરમાં કોવિશિલ્ડ વેક્સિનના જથ્થાની ભારે અછત છે. 24 ડિસેમ્બરથી ભાવનગરમાં વેક્સિન લેવા માટે લોકો ધક્કા ખાઈ રહ્યા છે. વેક્સિનની અછતને લઈને મનપા આરોગ્ય અધિકારીને પૂછતા તેમને વેક્સિનની અછત હોવાની વાતનો સ્વીકાર કર્યો છે તથા સરકાર સમક્ષ 20 હજાર વેક્સિનના ડોઝની માગ કરી હોવાનું પણ જણાવ્યું છે.
વિદેશમાં કોરોનાની નવી લહેર આવતા જ સરકાર સતર્ક બનીને લોકોને બુસ્ટર ડોઝ લેવા અપીલ કરી રહી છે, પરંતુ રાજકોટના આરોગ્ય કેન્દ્રોમાં કોવિશિલ્ડ રસી પૂરતો જથ્થો ઉપલબ્ધ નથી. ભારતમાં મોટાભાગના લોકોએ કોવિશિલ્ડ રસી લગાવી છે, ત્યારે રસીના અભાવે લોકો સાવચેતીનો બુસ્ટર ડોઝ લગાવી શકતા નથી તો બીજી તરફ મેડિકલ ઓફિસરો કોવેક્સીન રસી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને આરોગ્ય તંત્ર દ્વારા તમામ તૈયારીઓ યોગ્ય કરી હોવાનો રાગ આલાપી રહ્યા છે.
અમદાવાદમાં એક તરફ કોરોના સામે તંત્રને સજ્જ કરાઈ રહ્યું છે તો બીજી તરફ AMC પાસે રસીનો સ્ટોક ખૂટી પડ્યો છે. સંભવિત સંકટ સામે સોમવારે શહેરના 82 સેન્ટરો પર માત્ર 910 લોકોને જ રસી આપવામાં આવી તો 3,500 લોકોએ કોરોનાની રસી વિના જ પરત ફરવાનો વારો આવ્યો. ત્યારે રસીની અછત વચ્ચે AMCએ રાજ્ય સરકાર પાસે 1 લાખ ડોઝની માંગણી કરી છે.